રાજકોટ
News of Thursday, 14th March 2019

રવિવારે સમસ્‍ત રાણપરા પરિવાર દ્વારા પાવાગઢમાં ધર્મોત્‍સવ : રાત્રે ધ્‍વજા, ચૂંદડી શણગાર સહિતનો ડ્રો

ભદ્રકાળી માતાજીના સાનિધ્‍યમાં નવચંડી હવન,અન્નકૂટ અને મહાઆરતીનો અવસર

રાજકોટ તા. ૧૪ : શ્રી જય માં ભદ્રકાળી સોશ્‍યલ ગ્રુપ, પાવાગઢ યાત્રા સંઘ અને સમસ્‍ત રાણપરા પરિવાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે રવિવારે પાવાગઢમાં ધર્મોત્‍સવ ઉજવાનાર છે. પાવાગઢ મુકામે બિરાજતા ભદ્રકાળી માતાજીના સાનિધ્‍યમાં નવચંડી હવન, ચૂંદડી, શણગાર, અન્નકૂટ, મહાઆરતી અને ધ્‍વજારોહણ પુષ્‍પ શણગાર સહિતના ધર્મલાભ માટે સમસ્‍ત રાણપરા પરિવારમાં જબરો ઉત્‍સાહ છવાયો છે.સમસ્‍ત રાણપરા પરિવાર દ્વારા તા. ૧૭ને રવિવારે પાવાગઢ મુકામે ભદ્રકાળી માતાજીના સાનિધ્‍યમાં ધર્મોત્‍સવ માટે બસમાં ટિકિટ બુક કરાવનારા ભાવિકો માટે માતાજીનો શણગાર, નવચંડી હવન, ધ્‍વજ, ચૂંદડી અને મહાઆરતી માટે આજે રાત્રે પેલેસ રોડ સ્‍થિત કાર્યાલયે ડ્રો યોજાનાર છે આ વેળાએ ધૂન ભજન અને ગરબાની રમઝટ સાથે માતાજીના ગુણાનુવાદ કરાશે.

ᅠપાવાગઢમાં ધર્મોત્‍સવ પ્રસંગે સ્‍પેશિયલ બસની સુવિધા ઉપલબ્‍ધ કરાવાઈ છે. બસ શનિવારે રાત્રે ૯-૩૦ કલાકે પેલેસ રોડથી પ્રસ્‍થાન થશે. જેમાં વહેલો તે પહેલોનાં ધોરણે ટિકિટ બુકીંગ સહિતની માહિતી માટે રાણપરા પરિવારની પાવાગઢ યાત્રા સંઘની સમિતિ કાર્યરત છે અને પેલેસ રોડ ખાતેના કાર્યાલયે સંપર્ક સાધી શકાય છે.

(4:33 pm IST)