રાજકોટ રેલ્વે ડીવાયએસપી તરીકે મુકાયેલા પિયુષ પીરોજીયા રેલ્વે પોલીસના બહોળા અનુભવી
મૂળ રાજકોટના વતનીઃ પડકારરૂપ મર્ડર કેસો પણ ઉકેલેલા
રાજકોટ, તા., ૪: રાજય સરકાર શનિ-રવિની રજામાં પીઆઇ ટુ ડીવાયએસપીની બદલી-બઢતીના મસમોટા હુકમો કાઢી રહયાની ચર્ચા વચ્ચે ડીવાયએસપી કક્ષાના ફકત ૩ હુકમો કરતો હુકમ ગૃહ વિભાગના સંયુકત સચિવ મહેન્દ્રભાઇ આર. સોનીની સહીથી બહાર પડયો છે.
પાલીતાણાના વિભાગીય પોલીસ અધિકારી પી.પી.પિરોજીયાને રાજકોટ પશ્ચિમ રેલ્વે પોલીસના વિભાગીય અધિકારી તરીકે મુકતો હુકમ થયો છે. આ સ્થાને રહેલા બી.એસ.જાદવને રેલ્વેમાં જ વડોદરા ખાતે નાયબ પોલીસ અધિક્ષક એસ.સી.એસ. ટી.સેલ ખાતે મુકવામાં આવ્યા છે. આ જગ્યા હાલમાં ખાલી જ હતી
સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજાને વિભાગીય પોલીસ અધિકારી પાલીતાણા ખાતે બદલવામાં આવ્યા છે.
રાજકોટ પશ્ચિમ રેલ્વે પોલીસના વિભાગીય અધિકારીતરીકે મુકાયેલા પિયુષ પીરોજીયા મૂળ રાજકોટના વતની છે. તેઓ ભુતકાળમાં અમદાવાદ, રેલ્વે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી વિ.માં ફરજ બજાવી બહોળો અનુભવ ધરાવે છે. તેઓ સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેમાં ડીવાયએસપી તરીકે પણ સીઆઇડીમાં ફરજ બજાવી ચુકયા છે. તેઓએ રેલ્વે પોલીસની એલસીબી અને એસઓજી બ્રાન્ચની ફરજ દરમિયાન રાજકોટ રેલ્વેની હદમાં થયેલ મર્ડર તથા અન્ય ગુન્હાહીત કૃત્યોના આરોપીઓને મુંબઇ જઇ ઝડપી લીધા હતા.