૧૭પ૦ કિલો અખાદ્ય કેરી-ચીકુનો નાશઃ ર૦ કિલો કાર્બાઇડ જપ્ત
રઘુવીરપરા-કુવાડવા રોડ વિસ્તારમાં કેરી અને ચિકુનાં વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડાઃ ૩ વેપારીને નોટીસ
રાજકોટ તા. ૪ :.. શહેરમાં કાર્બાઇડથી પકાવેલી અખાદ્ય કેરી અને ચિકુનાં કુલ ૧૭પ૦ કિલો જથ્થાનો નાશ, મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે કર્યો હતો.
આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ 'કેશ્લ્યમ કાર્બાઇડથી પકાવવામાં' આવતાં ફળો જાહેર આરોગ્ય માટે નુકશાનકર્તા છે. આથી ફુડ ઇન્સ્પેકટરો દ્વારા કાર્બાઇડથી પકાવવામાં આવતી કેરી સહિતનાં ફળ ફળાદીનો નાશ કરવા માટે ચેકીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઝૂંબેશ દરમિયાન આજે સવારે રઘુવીરપરા ૬/૧૩ માં કેરીનાં વેપારીઓ પ્રકાશભાઇ વાઘવાણી ત્થા પ્રકાશભાઇ તન્ના બન્ને વેપારીઓને ત્યાંથી કુલ ૧પ૦૦ કિલો કાર્બાઇડથી પકાવવામાં આવેલી કેરીનો જથ્થો ઝડપી લઇ તેનો જાહેર કચરા પેટીમાં નાશ કરાવ્યો હતો.
આ ઉપરાંત કુવાડવા રોડ મેંગો માર્કેટમાં અલ્તાફભાઇ ફ્રુટવાળાને ત્યાંથી કુલ રૂ. પ૦ કિલો અખાદ્ય ચિકુનો જથ્થો ઝડપી તેનો નાશ કર્યો હતો. અને આ સ્થળેથી પ૦૦ ગ્રામ કાર્બાઇડની પડીકી ઝડપી લીધી હતી.
જયારે કુવાડવા રોડ પર આવેલ હોનેસ્ટ ટ્રેડીંગમાંથી ર૦ કિલો કેલ્શ્યલ કાર્બાઇડ ઝડપી લઇ તેનો પણ નાશ કર્યો હતો.
નોંધનીય છે કે ઉપરોકત જે ત્રણ વેપારીઓને ત્યાંથી અખાદ્ય કેરી અને ચિકુનો જથ્થો ઝડપાયો હતો. તે તમામ વેપારીઓને નોટીસ આપવામાં આવી હતી. (પ-રર)