કાલે RTOના ૯II કરોડના ખર્ચે બનનારા નવા બિલ્ડીંગનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત : ૨૦ જેટલી ફેસલેસ સેવાનો થશે પ્રારંભ
કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઇ મોદી - મંત્રી અરવિંદભાઇ રૈયાણી ઉપસ્થિત રહેશે : RTO લાઠીયા અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી
રાજકોટ તા. ૧૯ : આવતીકાલે સાંજે ૪ વાગ્યે રાજકોટ RTOના ૯ાા કરોડના ખર્ચે બનનાર નવા અદ્યતન બિલ્ડીંગનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઇ-ખાતમુહૂર્ત થશે. આ પ્રસંગે કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, મેયરશ્રી, અન્ય પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહેશે.
હાલના RTOના બિલ્ડીંગના સ્થાને આધુનિક ટેકનોલોજી સાથેનું ડ્રાઇવીંગ ટેસ્ટ માટેનું ટ્રેક બનાવાશે. રાજકોટ ઉપરાંત અમદાવાદ સુભાષબ્રીજ સર્કલ ખાતે પણ નવા RTO બિલ્ડીંગનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થનાર છે, રાજકોટના કાર્યક્રમ અંગે વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસના માર્ગદર્શન હેઠળ રાજકોટ RTOના શ્રી લાઠીયા અને તેમની ટીમ કાર્યવાહી કરી રહી છે.
નવા RTO બિલ્ડીંગમાં ૨૦ જેટલી ફેસલેસ સેવાઓ - વાહન સંબંધીત શરૂ કરાશે. જેમાં ટ્રાન્સફર ઓફ ઓનરશીપ, વાહનના સરનામા, એનઓસી, ડુપ્લીકેટ આરસી બુક, નવી પરમીટ તથા અન્ય સંબંધીત સેવાઓમાં લાયસન્સને લગતી બાબતોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત હેઝડર્સ લાયસન્સ, પહાડી વિસ્તારમાં વાહન ચલાવવા અંગેનું લાયસન્સ, ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમિટ, ડિફેન્સ લાયસન્સ હોલ્ડરને લાયસન્સ આપવુ વિગેરેનો સમાવેશ થાય છે, આ ઉપરાંત વાહન અને ફેસલેસ સેવાનોપણ કાલે બપોરે ૪ વાગ્યાથી પ્રારંભ થશે.