કોર્ટ કમ્પાઉન્ડમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી નાગેસસિંહ પર હુમલો
મહંમદહનિફ કટારીયા સામે એનસી ગુનો
રાજકોટ તા. ર૦: શહેરના હોસ્પિટલ ચોક પાસે આવેલી કોર્ટ બીલ્ડીંગ આર.એમ.સી. કોર્ટ કમ્પાઉન્ડમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી જમીન મકાનના ધંધાર્થીને એક શખ્સે ઢીકાપાટુના માર મારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ શહેરના જંકશન પ્લોટ ગાયકવાડી શેરી નં. ૩ માં રહેતા જમીન-મકાન લે-વેચના ધંધાર્થી નાગેસસિંહ શેખરસિંહ ચૌહાણ (ઉ.વ. ૪૧) એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં રૈયા રોડ નહેરૂનગરમાં રહેતા એડવોકેટ મહંમદહનીફ ગનીભાઇ કટારીયા (ઉ.વ. ૩૮) નું નામ આપ્યું છે. નાગેસસિંહ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ગઇકાલે સ્ટાર ચેમ્બરમાં પોતાની ઓફીસે હતા ત્યારે મિત્ર નરેન્દ્રસિંહ બાપુનો ફોન આવેલ અને કહેલ કે 'મારે કોર્ટમાં આજે તારીખ છે તો તમે અહિં આવો' તેવું કહેતા પોતે ઓફીસેથી સિવિલ કોર્ટ બીલ્ડીંગમાં આવ્યો હતો. અને મિત્રની મુદત પુરી થઇ જતા પોતે તથા મિત્ર એકટીવા લેવા માટે જતા હતા ત્યારે આર.એમ.સી. કોર્ટ કમ્પાઉન્ડ પાસે અગાઉ મહંમદહનીફ કટારીયા સાથે ઝઘડો થયો હોઇ અને પોલીસ ફરિયાદ કરેલ હોઇ તે બાબતનો ખાર રાખી તે પાછળ આવેલ અને ગાળો આપતા પોતે તેને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઇને ઢીકાપાટુનોફ માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા પોતાને સિવિલહોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પોતે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. આર. એલ. વાઘેલાએ તપાસ આદરી છે.