યુનિ.રોડ પ્રશિલપાર્કમાં કુતરાઓનો તરખાટઃ રાત્રે વાહનો પાછળ દોડતા હોઇ અકસ્માતો
કુતરા પાછળ દોડતા પડી ગયેલ ૧ વ્યકિતનું થોડા દિવસ અગાઉ મોત નિપજયા બાદ ગઇરાત્રે અન્ય એક વ્યકિત ગંભીર રીતે ઘાયલઃ તંત્ર કુતરાઓનો ત્રાસ દુર કરે તેવી ઉગ્ર લોક માંગ
રાજકોટ તા. ર૦ : શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પ્રશિલપાર્ક વિસ્તારમાં રખડુ કુતરાઓનો ભયંકર ત્રાસ હોવાની ફરીયાદ રહેવાસીઓમાં ઉઠા પામી છે.
આ અંગે યુનિવર્સિટી રોડ પર નીલસીટી કલબ વિસ્તારમાં આવેલ પ્રશીલપાર્ક વિસ્તારના રહેવાસીઓમાં ઉઠવા પામેલ ફરીયાદ મુજબ ''આ વિસ્તારમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા પર દરરોજ રાત્રે રખડુ કુતરાઓની ફોજ જમાં થાય છે. અને રસ્તા પર પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને કરડવા માટે પાછળ દોટ મુકે છે જેના કારણે નાના મોટા અકસ્માતો સર્જાય છે હજુ થોડા દિવસો અગાઉ એક વ્યકિતની પાછળ કુતરા દોડતા તેઓને ગંભીર અકસ્માત સર્જાયેલ અને તેઓનું મૃત્યુ નિપજયું હતું જયારે ગઇ રાત્રે પણ પ્રશિલ પાર્કમાં રહેતા એક વ્યકિતની પાછળ કુતરા દોડતા તેઓને પણ ગંભીર અકસ્માત નડતા ફેકચર અને માથામાં ઇજા થતા હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી છે.
આમ રખડુ કુતરાના આ ભયંકર ત્રાસને નિવારવા લતાવાસીઓએ ઉગ્ર માંગ ઉઠાવી છે.