રાજકોટ
News of Saturday, 20th October 2018

સોમવારથી તલાટીઓની બેમુદતી હડતાલ

મહેસુલ-પંચાયત બંન્નેના તલાટીઓ લડતના માર્ગેઃ કલેકટરને આવેદનઃ રાજકોટ સહિત રાજયભરમાં ૧૧ હજારથી વધુ તલાટીઓનું એલાને જંગ

રાજકોટ, તા., ૨૦: રાજકોટ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળે કલેકટરને આવેદન પાઠવી તલાટી કમ મંત્રી સવર્ગના પ્રશ્નો અંગે કોઇ નિરાકરણ ન આવતા તા.રર થી રાજયભરના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જશે તેમ ઉમેર્યુ હતું.

આવેદનમાં ઉમેર્યુ હતું કે ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહામંડળ તા.૬-૧૦-ર૦૧૮ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ બાદ કોઇ પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહા મંડળની લડત સમીતીની ૧૧-૧૦-ર૦૧૮ને ગુરૂવારના રોજ મળેલ બેઠકમાં નક્કી થયા મુજબ ગુજરાત રાજય તલાટી મહામંડળ તા.રર-૧૦-ર૦૧૮ને સોમવારથી મહેસુલી કામગીરી તથા પંચાયતની તમામ કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપેલ હોય તેમજ ગ્રામ્ય કક્ષાએ સરકારશ્રીનું પ્રતિનિધિત્વ કરતા પાયાના કર્મચારી તલાટી કમ મંત્રી સવર્ગના રાજય મંડળના આદેશ અનુસાર રાજયના તલાટી કમ મંત્રી તા.રરને સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ કરશે.

વર્ષ ર૦૧૦માં મહેસુલી તલાટીની ભરતી થયા પહેલા ૪૦ વર્ષથી ગુજરાતમાં એક જ તલાટી કમ મંત્રીની એક જ કેડર હતી. જે મહેસુલી રેકર્ડ નિભાવણીથી લઇને પંચાયતી રાજના તમામ કામોનું વહન કરે છે. વર્ષ ર૦૧૪ માં સરકારે મહેસુલી તલાટીઓને ઉપલા વર્ગના પ્રમોશન માટે રૂલ્સ તૈયાર કરીને નોટીફીકેશન બહાર પાડયું ત્યારથી પંચાયતના ૧૦,૪ર૧ તલાટીઓમાં અસંતોષ સર્જાયો હતો. કારણ કે પંચાયતના તલાટીઓ જે દિવસે સેવામાં પ્રવેશ લે ત્યારથી રિટાયર્ડ થાય ત્યાં સુધી તલાટીના તલાટી જ રહે છે. પાયાની સૌથી મોટી કેડરને નજરઅંદાજ કરીને મહેસુલના ૩૬૦૦ તલાટીઓ માટે નિર્ણય લેતા વિવાદ સર્જાયો છે તેમ ઉમેરાયું છે.(૪.૯)

(4:15 pm IST)