ટ્રકે બાઇકને ઠોકરે ચડાવી દેતાં હળવદના ચરાડવાના વાલ્મિકી યુવાન લક્કીનું મોત
૨૩ વર્ષનો યુવાન સરા ગામે માતાજીના કામેથી પરત આવતો'તો ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડ્યોઃ દોઢ વર્ષની પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું
રાજકોટ તા. ૨૦: હળવદના ચરાડવા ગામના ૨૩ વર્ષના વાલ્મિકી યુવાનનું વાહન અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
ચરાડવા રહેતો લક્કી રાજેશભાઇ પરેશા (ઉ.૨૩) નામનો યુવાન ગઇકાલે બાઇક હંકારી સરા ગામે માતાજીના કામ સબબ ગયો હતો. ત્યાંથી પરત પોતાના ઘરે આવતો હતો ત્યારે ચરાડવા-દેવપુર વચ્ચે કોઇ ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં લક્કીને ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી મોરબી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર લક્કી ત્રણ ભાઇમાં બીજો હતો અને સિરામીક ફેકટરીમાં કામ કરતો હતો. તેના પત્નિનું નામ આરતી છે. સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે જેણે પિતાનું છત્ર ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલક અંગે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)