રાજકોટ
News of Friday, 20th September 2019

વ્યવસાય વેરા વ્યાજ માફીમાં છેલ્લા ૧૦ બાકીઃ તંત્રએ પ.૮૯ કરોડનું વ્યાજ માફ કર્યું: ૭.૬૪ કરોડની આવક

રાજકોટ તા. ર૦ : મહાનગરપાલિકા દ્વારા વ્યાજ માફી યોજના હોઇ વ્યવસાયવેરાની વસુલાત કરવા માટે સઘન રીકવરી ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં વ્યવસાયવેરામાં નોંધાયેલ કુલ ૧૬,૩૮૬ જેટલા બાકીદારોને વ્યવસાયવેરો ભરપાઇ કરવા નોટીસ પાઠવવામાં આવેલ છે આગામી દિવસોમાં નોંધાયેલ કરદાતાઓ પાસેથી વ્યવસાયવેરાની વસુલાત ન આવ્યેથી વોર્ડ વાઇઝ ઝૂબેશ ચલાવી નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

નોંધનીય છે કે વ્યવસાય વેરા વ્યાજ માફી યોજનાનો કુલ ૭,૦૧૦ જેટલા વ્યવસાયીકો/ધંધાર્થીઓ દ્વારા લાભ લીધેલ છે.જેને કારણે રાજકોટ મહાનગરપાલિકાને વ્યવસાયવેરા પેટે રૂ.૭.૬૪/- કરોડની આવક થયેલ છે તેમજ કુલ રૂ.પ.૮૪/ કરોડનું વ્યાજ માફ કરેલ છે. ચાલુ નાણાકીય વર્ષની વ્યવસાયવેરાની કુલ આવક રૂ.૧૮.૬૭/ કરોડ થયેલ છેગત વર્ષની સરખાણીએ આવકમાં રૂ.૮.૭૦/ કરોડનો વધારો થયેલ છે.

વ્યવસાયવેરા વ્યાજ માફી યોજના તા.૩૦/૯/ર૦૧૯ સુધી જ અમલ છે. તેમજ છેલ્લા ૧૦ (દસ) દિવસ જ બાકી હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની હદ વિસ્તારમાં આવેલ તમામ પેઢી-વ્યવાસયધારકોને આ સમયગાળા દરમિયાન પોતાના ધંધા-વ્યવસાયનું રજીસ્ટ્રેશન કરાવીને વ્યવસાયવેરો ભરપાઇ કરવા વોર્ડ ઓફીસનો સંપર્ક કરવા જાણ કરવામાં ટેકસ ઓફીસરની યાદીમાં જણાવાયું છે.

(3:41 pm IST)