કાલાવડ રોડ-લક્ષ્મીનગર સહીતના વિસ્તારોને પાણી ધાંધિયામાંથી મુકિત
કાલાવડ રોડ, ન્યારી ESR થી લક્ષ્મીનગર, રેલ્વેબ્રીજ સુધી ૭૧૧ mm પાઇપ લાઇન નંખાશેઃ વોર્ડ નં.૮ના કોર્પોરેટર નીતીનભાઇ, રાજુભાઇ, વિજયાબેન, જાગૃતીબેનના પ્રયત્ન સફળ
રાજકોટ, તા.૨૦: વોર્ડ નં.૦૮ના કોર્પોરેટર નીતિનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ અઘેરા, જાગૃતિબેન ઘાડીયા અને વિજયાબેન વાછાણી એક સંયુકત યાદીમાં જણાવે છે કે, કાલાવડ રોડ પર પશ્ચિમ વિસ્તારમાં પાણીની વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત થાય તેમજ હયાત પાઈપ લાઈન દ્યણા વર્ષો જૂની હોય જેથી અવાર નવાર લાઈન તૂટવાના બનાવ બનતા. જેથી નવી પાણી પાઈપ લાઈન નાખવાની કોર્પોરેટરશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ જેના અનુસંધાને રૂ.૭.૨૨ કરોડના ખર્ચે વોર્ડ નં.૦૮ કાલાવડ રોડ ન્યારી ESRથીલક્ષ્મીનગર રેલ્વેબ્રીજ સુધી ૭૧૧mm ડાયા એમ.એસ. પાણીની પાઈપ લાઈન નાખવાનું સ્થાયી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. જેથી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરેનો વોર્ડ નં.૦૮ના કોર્પોરેટરશ્રીઓએ આભાર વ્યકત કરેલ. તેમ કોર્પોરેટર રાજુભાઇ અઘેરાની યાદીમાં જણાવાયુ છે.