રાજકોટ
News of Thursday, 20th September 2018

કાલથી મધ્યાહન ભોજનના રસોયાઓની હડતાલઃ ૩પ લાખ બાળકો ભૂખ્યા રહેશે

ભોજનની વાનગી અને કરિયાણું ત્થા શાકભાજીના ઉપયોગના નિયમોથી ગરીબ બાળકોની મશ્કરી સમાન ભોજન બનાવવું હવે અશકયઃ કર્મચારીઓનો પગાર પણ અત્યંત ઓછોઃ લઘુતમ વેતનદર મુજબ પગાર વધારવાની માંગણી સાથે કાલથી મધ્યાહન ભોજન કેન્દ્રના હજારો કર્મચારીઓની હડતાલ

હમારી માંગે પૂરી કરોઃ મધ્યાહન ભોજન કેન્દ્રના કર્મચારીઓના પગાર વધારા સહીતના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે રાજયના કર્મચારી મંડળે કાલથી હડતાલનું એલાન કર્યું છે જે અંગે માહીતી આપવા યોજેલી પત્રકાર પરિષદની તસ્વીરમાં આ તકે ઉપલબ્ધ રાજકોટના નિલેષ જોષી, જીલ્લા પ્રમુખ મહેશ પાઠક, તાલુકા પ્રમુખ જનકભાઇ નિમાવત, ઉપપ્રમુખ રણછોડભાઇ મોરબીના કે.કે. ઝાલા, ભાવનગરના ગણપતીસિંહ, જામનગરના આંબાલાલ, ખંભાતના નમ્રતાબેન ત્થા ભાવનગરના કનુભાઇ દેસાઇ વગેરે દર્શાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૦ :.. પગાર વધારો અને ભોજનનું મેનું, કરિયાણુ-શાકભાજી વગેરે વપરાશનાં નિયમોમાં વિસંગતતાઓ સહિતનાં પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આવતીકાલથી રાજયભરનાં મધ્યાહન ભોજન કેન્દ્રનાં રસોયાઓ સહિત હજારો કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી હડતાલ પર ઉતરનાર છે. જેનાં કારણે રાજયભરનાં મધ્યાહન ભોજન કેન્દ્રનાં અંદાજે ૩પ લાખ જેટલાં બાળકો ભુખ્યા રહેશે.

આ અંગે ઓલ ગુજરાત રાજય મધ્યાહન ભોજન કર્મચારી મંડળનાં હોદેદારોએ રાજકોટમાં યોજેલી સંયુકત પત્રકાર પરિષદમાં વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન કેન્દ્રનાં રસોયાઓ અને મદદનીશને મહીને રૂ. ૧૪૦૦ અને રૂ. પ૦૦ નો પગાર મળે છે જે આ મોંઘવારીમાં અત્યંત ઓછો છે.

આથી આ કર્મચારીઓને સરકારે નિયુકત કરેલા લઘુતમ વેતન દર મુજબ મહીને અંદાજે પ થી ૬ હજાર પગાર મળવો જોઇએ તેવી માંગ સાથે કાલથી રાજયભરનાં મધ્યાહન ભોજન કેન્દ્રનાં રસોયાઓ સહિતના  કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી હડતાલ પર ઉતરશે. જેનાં કારણે રાજયભરનાં મળી મધ્યાહન ભોજન કેન્દ્રનો લાભ લેતાં અંદાજે ૩પ લાખ જેટલાં બાળકો ભુખ્યા રહેશે.

આ ઉપરાંત રાજય સરકારે મધ્યાહન ભોજનનું જે મેનું છે તે પણ ગરીબ બાળકોની મશ્કરી સમાન હોવાનાં આક્ષેપો સાથે કર્મચારી મંડળે જણાવ્યું હતું કે બાળકોને થયેલા, સુકીભાજીમાં માત્ર પ ગ્રામ કોલનાં ઉપયોગ કરવો તેવો નિયમ અશકય છે, તેવી જ રીતે ચણા ચાટમાં માત્ર ૧૦ ગ્રામ ચણા ૧૦ ગ્રામ ટમેટા, ૧૦ ગ્રામ ડુંગળીનો નિયમ પણ અશકય છે. એટલું જ નહી મરી-મસાલા માટે ૯૦ પૈસા અનાજના દળામનાં પણ ઓછા પૈસા અપાય છે. તેવી જ રીતે રાંધણ ગેસનાં બાંટલાંનાં પણ ઓછા પૈસા અપાય છે આમ મધ્યાહન ભોજન કેન્દ્રનાં કર્મચારીઓનાં ઉપરોકત પ્રશ્નો સહિતનાં મુદે મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર પાઠવી આજે ગાંધીનગર ખાતે ધરણા યોજવામાં આવ્યા છે. ત્થા કાલથી હડતાલનું આયોજન છે. તેમ મધ્યાહન ભોજન કેન્દ્ર કર્મચારી મંડળના હોદેદારોએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ છે.

આ હડતાલથી રાજકોટ જીલ્લાનાં અંદાજ ૧ાા લાખ બાળકો ભુખ્યા રહેશે તેમ કર્મચારી મંડળે જાહેર કરી અને સરકાર આ પ્રશ્નો અંગે સહાનુભૂતિ પૂર્વક વિચારી ગરીબ બાળકોનાં આરોગ્યને ધ્યાને લઇ તાત્કાલીક પગાર વધારા સહિતનાં પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવાઇ છે.

રાજકોટ શહેરના બાળકોને મધ્યાન ભોજન મળશે

કેન્દ્રનુ સંચાલન સંસ્થાને સોંપાયંુ છે તેથી રસોડુ ચાલુ રહેશેઃ કર્મચારીઓ આનો વિરોધ કરે છે

રાજકોટઃ કાલથી રાજય ભરના મધ્યાહન કેન્દ્રના કર્મચારીઓ હડતાલ પર ઉતરનાર હોઇ રાજય ભરના લાખો બાળકો ભૂખ્યા રહેશે પરંતુ રાજકોટ શહેરના મધ્યાહન ભોજન કેન્દ્રના બાળકોને ભોજન મળશે કેમ કે અહીના કેન્દ્રના મુખ્ય રસોડાનું સંચાલન કર્મચારીઓ નહી પરંતુ સ્વૈચ્છીક સંસ્થા કરે છ.ે જો કે આ બાબતે મધ્યાહન ભોજન કર્મચારી મંડળે વિરોધ દર્શાવયો છે.

(3:15 pm IST)