મહેસુલી તલાટીની કામગીરીમાં નકારાત્મક બનાવવાના પ્રયત્નો સામે ઉગ્ર વિરોધ વંટોળ એડી.કલેકટરને આવેદન પાઠવતુ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળઃ નકારાત્મક પ્રચારને શખ્સ શબ્દોમાં વખોડાયોઃ તો કામગીરીમાં ઓટ આવશે
જિલ્લા મહેસુલી કર્મચારી મંડળે ગઇકાલે સાંજે એડી. કલેકટરને આવેદન પાઠવી રજુઆતો કરી હતી.(૧.૧૫)
રાજકોટ તા. ર૦ :.. જીલ્લા મહેસુલી કર્મચારી મંડળે એડી. કલેકટરને આવેદન પત્ર પાઠવી મહેસુલી તલાટીની કામગીરીમાં નકારાત્મક રીતે બતાવવાના થતાં પ્રયત્નો સામે પ્રતિક્રિયા વ્યકત કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી પંચાયત મંડળ તથા અન્ય સંસ્થાઓ દ્વારા આપણા જ કર્મચારીઓ અને મહેસુલી ઘરોહરનાં પાયા સમાન મહેસુલી તલાટીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને નકારાત્મક રીતે પ્રસ્તુત કરી મહેસુલી કર્મચારીઓની કામગીરીને અસર થાય તે રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે. મહેસુલી પરીવારના તમામ કર્મચારીઓ હંમેશા સરકારશ્રીનાં સીધા માર્ગદર્શન નીચે તથા પૂર્ણ પ્રમાણીકતાથી કામગીરી બજાવતાં રહ્યાં છે. ત્યારે આવા નિવેદનો પ્રેસ-મીડીયામાં થતો નકારાત્મક પ્રચાર અને સંસ્થાઓ દ્વારા થતાં પાયાવિહોણા આક્ષેપો ચલાવી લેવાય નહીં.
તાજેતરમાં રાજકોટના પંચાયત વિભાગના પંચાયત મંત્રીઓના મંડળ દ્વારા તેમની વિવિધ માગણીઓ માટે કલેકટરશ્રી તથા ડી. ડી.ઓ. શ્રીને આવેદન આપવામાં આવેલ છે. આ આવેદનમાં તેમની વ્યાજબી માંગણીઓને સરકારશ્રી સંતોષે તે બાબતે અમારા મહેસુલી પરિવારની લાગણીઓ તેમની સાથે છે પરંતુ પંચાયત મંત્રીઓ દ્વારા આવેદન આપ્યા બાદ સ્થાનિક પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક માધ્યમો અને સોશ્યલ મીડિયામાં જે રીતે આપણા મહેસુલી પરિવારના તલાટીઓનો કામગીરી ન કરવા બાબતે-ગામડે ન જવા બાબતે જે નકારાત્મક પ્રચાર કરવામાં આવ્યો છે તેને મહેસુલી કર્મચારી મંડળ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડવામાં આવે છે. આમ, મહેસુલી તલાટીઓ તેમને સોંપવામાં આવતી તમામ કામગીરી સુપેરે કરતાં હોવા છતાં ફકત કોઇ એક મંડળ કે સંસ્થાની પાયા વિહોણી રજુઆતો નકારાત્મક પ્રચારો રજુ કરવામાં આવે તેવી કોઇ રજુઆતો ધ્યાને લેવી જોઇએ નહી અને આવી રજુઆતોને કોઇ પ્રત્યુતર આપવો જોઇએ નહી. જો આવી ખોટી રજુઆતોને પ્રત્યુતર આપી તેને પ્રોત્સાહિત કરવામાં આવશે તો મહેસુલી કામગીરીમાં જે ઝડપ અને વ્યવસ્થિત રીતે કામગીરી થઇ રહી છે તેમાં ઓટ આવવાની સંભાવના છે. ઉપરાંતમાં આવી નકારાત્મક રજુઆતો કરનારઓને વેગ મળશે.(૧.૧૫)