સિવિલ હોસ્પિટલમાં વેરાવળના વૃધ્ધાનો સ્વાઇન ફલૂ રિપોર્ટ પોઝિટીવઃ બે દર્દીના રિપોર્ટ બાકી
ખાનગી હોસ્પિટલમાં ૧૦ દર્દી સારવારમાં:પાંચ દર્દીઓને વેન્ટીલેટર પર રખાયા
રાજકોટ તા. ૨૦: સ્વાઇન ફલૂએ અત્યાર સુધીમાં બે દર્દીનો ભોગ લીધો છે. બીજી તરફ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ૧૩ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ૧૧ના રિપોર્ટ પોઝિટીવ છે. ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા વેરાવળના ૫૮ વર્ષના મુસ્લિમ વૃધ્ધાનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં સારવાર સઘન બનાવાઇ છે. બીજી તરફ ટંકારા અને ગોંડલના બે મહિલાને સ્વાઇન ફલૂની શંકાએ દાખલ કરવામાં આવ્યા છે. તેમનો રિપોર્ટ બાકી છે.
કલેક્ટર તંત્રના રિપોર્ટ મુજબ શહેરમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં મળી કુલ ૧૩ દર્દી સારવાર હેઠળ છે. જેમાં ૧૧ના રિપોર્ટ પોઝિટીવ છે. ખાનગી હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તેમાં ધોરાજી, અમરેલી, સોમનાથ, જુનાગઢ, રાજકોટના દર્દીઓ સામેલ છે.
ઉલ્લેખનિય છે કે અગાઉ બે દર્દીના સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા હતાં. એ બંનેના રિપોર્ટ પોઝિટીવ હતાં. અહિ દાખલ થયા એ પહેલા ખાનગી હોસ્પિટલમાં બંનેને દાખલ કરાયા હતાં. છેલ્લે ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં અને દમ તોડી દીધો હતો.