ચોમાસામાં ઓછુ જમવાથી પાચન વ્યવસ્થિત થાય છે, તન-મનને સારૂ લાગેે : પ્રભુ સ્વામી
રાજકોટનાા દેવકૃષ્ણદાસજી સ્વામીના આશિષ સાથે સુરત ગુરૂકુળમાં ૧૭૩ સંતોએ પારણા કર્યાઃ ૪૦ સંતોએ એકટાણા કર્યા : ૬ સંતોએ સતત ૧ મહિનો માત્ર પાણી જ પીધુ
રાજકોટ ગુરૂકુળની સુરત વેડ રોડ શાખા ખાતે સંતોએ ચાતુર્માસના વ્રત-તપના પારણા કરેલ તે પ્રસંગની તસ્વીર
રાજકોટ તા ૨૦ : ચોમાસાના ચાર માસને ચાતુર્માસ કહેવાયો છે આ મહિનાઓમાં શાસ્ત્રકારોએ તપ વ્રત, ભજન કરવાનું કહયું છે તેની પાછળ શારીરીક અને આધ્યાત્મિક સુખ સમાયેલું છે. ઓછુ જમવાથી ચોમાસામાં પાચન વ્યવસ્થિત થાય છે. શરીરે સ્ક્રુર્તિ રહે છે અને નિરોગી પણ રહેવાય છે એ શારીરીક સુખ છે, જયારે ઉપરોકત સુખ મળતા આપણું મન પણ શાંત બને છે. ભગવાનના ભજન સ્મરણ, કથા કીર્તનમાં વધુ એકાગ્ર બને છે, સાતિવકતા વધે છે. આ હેતુઓને ધ્યાનમાં રાખી દરેક ધર્મમાં તપ,વ્રત, અનુષ્ઠાન જે તે ધર્મના અનુયાયીઓ કરતાં હોય છે. એમ વેડ રોડશ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સુરત ખાતે શ્રી પ્રભુસ્વામીએ કહયું હતું.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ પૂજય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સંત, શિષ્યોએ ચાતુર્માસના પ્રથમ મહિનામાં વિશેષ તપ,વ્રત કરેલા. તેઓને પારણા કરાવતા પહેલા ગુરૂકુળના મહંતશ્રી ધર્મવલ્લભદાસજી સ્વમીએ ઉદ્યાપન વિધિ કરાવેલ, જેનાાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તુલસી દલ, ચોખા તથા પુષ્પથી પૂજન તથા અભિષેક વિધી કરેલ.
સુરત ઉપરાંત નવસારી શ્રી ધર્મજીવન સંસ્કૃત પાઠશાળાના સંતો-પાર્ષદો તથા પોઇચા- નીલકંઠ ધામ, વડોદરા, વર્ણીન્દ્ર ધામ પાટડી, મુંબઇ, જસદણ, કેશોદ, ઉના વગેરે ધામોમાં સેવારત સંતો પારણાઅર્થે પધારેલા. શ્રી પ્રભુ સ્વામીએ કહયું હતું કે, ચાંદ્રાપણ વ્રતમાં જે દંડ ચાંદ્રાપણ છે તેમાં ૧ માસ સુધી રોજ બપોરે લીંબુ જેવડા માત્ર આઠ ગ્રાસ-કોળિયા જ જમવાના, ઋષિ ચાંદ્રાપણમાં રોજ ત્રણ જ ગ્રાસ, શીશું ચાંદ્રાપણમાં સવાર સાંજ ચાર-ચાર ગ્રાસ લેવાના, એ રીતે રાજકોટ, મોરબી, હૈદ્રાબાદ, જુનાગઢ, તરવડા, ભાવનગર, રતનપર, ભાયાવદર, તેમજ વિદેશમાં લંડન, અમેરીકાના ન્યુ જર્સી, ડલાસ, કેલીફોર્નિયા, શિકાંગો, લોસ એન્જલસ, અટલાન્સ, તેમજ ઓસ્ટ્રેલિયામાં સેવારત સંતોએ તપ, વ્રત કરેલા. જેમાં દંડચાંદ્રાપણ ૩૭ સંતોએ, ઋષિ ચાંદ્રાપણ-૪ સંતો, શીશુ ચાંદ્રાપણ-૮ સંતો ધારણા પારણા વ્રત જેમાં ૧ દિવસ ઉપવાસ એક દિવસ જમવાનું એક મહિના સુધીમાં-૪૫ સંતો, એક સમયજ ભોજન લેવામાં ૪૦ સંતો, ફલાહાર-૮ સંતો, પારાક વ્રત ૧૨ દિવસના સતત ઉપવાસ કરનાર પાંચ સંતો જયારે ૩૦ દિવસ સુધી કેવળ જલપાન કરનારા જે વ્રતને માસોપવાસ કહે છે, તે છ સંતોએ કરેલ. ભોજનમાં કેવળ બે વસ્તુજ જમવાવાળા-૭ સંતો, પયોવ્રત- બે સંતો, દઘિવ્રત-૩ સંતો, કેવળ કાચુ-ફ્રુટ જ લેનારા-૮ સંતો હતાં.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળથી ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણાદાસજી સ્વામીએ આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સથી આશીર્વાદ પાઠવેલ જે સાંભળી સંતોએ ધન્યતા અનુભવેલ હતી.