ફિલ્ડ માર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલયમાં છાત્રાઓ સાથે પોલીસ કમિશ્નર અગ્રવાલની 'સીધીબાત':
રાજકોટ : મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી ભાગરૂપે ફિલ્ડમાર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલય રાજકોટ ખાતે શહેર પોલીસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલ દ્વારા ''સીધીબાત'' કાર્યક્રમ યોજાયો. જેમા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને બોલબાલા ટ્રસ્ટનો સહયોગ મળ્યો. છાત્રાલયની ૧૦૦૦ થી વધુ છાત્રાઓ અને પોલિસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલ વચ્ચે સાયબર ક્રાઇમ , સાયબર સિકયુરીટી, ટ્રાફિક મેનેજમેન્ટ, સુરક્ષિત રાજકોટ તથા દિકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ સહિતના વિષયો પર પ્રશ્નોતરી અને ચર્ચાઓ થઇ હતી. છાત્રાઓ દ્વારા પૂછાયેલા ૨૫થી વધારે પ્રશ્નોના પોલીસ કમિશ્નરે વિસ્તૃત અને સંતોષકારક જવાબ આપ્યા હતા. પોતાના પ્રવચનમાં ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાએ પણ વિદ્યાર્થીનીઓ દ્વારા પુછાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.
છાત્રાલયના પ્રમુખ અને ફિલ્ડમાર્શલ ગ્રુપના અગ્રણી ઉદ્યોગપતિ ચંદુભાઇ પોપટભાઇ કણસાગરાના અધ્યક્ષ સ્થાને આયોજીત કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પરસોત્તમભાઇ ફળદુ, કેમ્પસ ડાયરેકટર પ્રો. ડો.જે. એમ. પનારા, બોલબાલા ટ્રસ્ટના ચેરમેન જયેશભાઇ ઉપાધ્યાય , પી.આઇ.બી.એમ. કાતરીયા , પી.આઇ. એસ.આર. પટેલ , ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયા કારોબારી સભ્યશ્રી ધર્મેન્દ્રભાઇ ફળદુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે સમયની તસ્વીર