ખોડીયાર મિત્ર મંડળ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી પાસે સર્જાયુ ગોકુળિયુ ગામ : ગુરૂવારે ઉદ્ઘાટન
રાધા શોધે મોરપિરછને, શ્યામ શોધતા ઝાંઝરિયા, રાધિકાની આંખ જપે છે સાવરિયા ઓ સાવરિયા... : રોશનીના ઝળહળાટ વચ્ચે અવનવી કૃતિઓ : આઠમની રાત્રે રાસોત્સવ
રાજકોટઃ. શ્રી ખોડિયાર મિત્ર મંડળ દ્વારા કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી બ્રીજ પાસે બીએમડબલ્યુના શો રૂમની બાજુમાં જન્માષ્ટમી નિમિતે પરંપરાગત કૃષ્ણલક્ષી ભવ્ય કૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યુ છે. શહેરમાં શાનદાર રીતે ઉજવાતા જન્માષ્ટમી મહોત્સવમાં આ મંડળે બુલંદ સૂર પુરાવ્યો છે.
મંડળ દ્વારા સ્થળ પર ગોકુળિયા ગામનું સર્જન કરવામાં આવ્યુ છે. બાળ કનૈયાની માખણ ચોરી, હિંડોળો અને ગીરીધર ગોવર્ધન પર્વત જેવી કૃતિઓ આબેહુબ રીતે સર્જવામાં આવી છે. રંગબેરંગી અત્યાધુનિક લાઈટોનો ઝળહળાટ ઉત્સવની શોભા વધારશે. જન્માષ્ટમીની રાત્રે નંદોત્સવ તેમજ લાઈવ દાંડીયા રાસનું આયોજન છે. મહોત્સવનું ઉદઘાટન તા. ૨૨મીએ બપોરે ૧૨ વાગ્યે રાખવામા આવેલ છે.
આ પ્રસંગે મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદ રૈયાણી તથા આગેવાનો સર્વશ્રી નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, ખીમજીભાઈ મકવાણા, કિશોર રાઠોડ, કશ્યપ શુકલ, દલસુખ જાગાણી, પ્રિતીબેન પનારા, દિલીપ લુણાગરીયા વગેરે ઉપસ્થિત રહેશે. આયોજનને સફળ બનાવવા પ્રમુખ જીતુ મકવાણા ઉપરાંત સંજય ચાવડા, ચકાભાઈ જાદવ, સાગર પરમાર, દેવાભાઈ ભરવાડ, રાજુ બોરીચા, ભીમાભાઈ રબારી, સલીમ મુલતાણી, રણજીત ધામેચા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સ્થાનિક નાગરિકો સહયોગી બન્યા છે. સૌને આ ધર્મોત્સવનો લાભ લેવા આયોજકોએ અપીલ કરી છે.