રાજકોટ
News of Tuesday, 20th August 2019

રાજકોટના વિકાસ માટે ૧૦૮ કરોડ ફાળવતા મુખ્યમંત્રી વિજયભાઇ

ગાંધીનગર ખાતે ચેક સ્વીકારતા મેયર બીનાબેન આચાર્ય-મ્યુ. કમિશનર બંછાનિધી પાનીઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરીનાં માર્ગદર્શન હેઠળ રાજયભરની મહાપાલિકાઓ, નગરપાલિકાઓ અને સત્તા મંડળોને કુલ ર હજાર કરોડનું વિકાસ ભંડોળ અર્પણ

રાજકોટ તા. ર૦ :.. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી સત્તા મંડળના વિકાસ માટે રાજય સરકાર દ્વારા તબક્કાવાર સહાય કરવામાં આવે છે. જેના, અનુસંધાને આજ તા.૨૦/૦૮/૨૦૧૯નાં રોજ ગાંધીનગરના ટાઉનહોલ ખાતે યોજાયેલ ચેક અર્પણ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૧૦૮.૪૧ કરોડનો ચેક માન.મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે મેયર  બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સ્થાયી સમિતિના સભ્ય અનિલભાઈ રાઠોડ વિગેરેએ સ્વીકારેલ હતો. આ સમારોહમાં માન.નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, રાજયના છેવાડાનાં લોકો સુધી વિવિધ વિકાસલક્ષી યોજનાઓનાં લાભો પહોંચે તેવા ઉદેશને વરેલી ભાજપની સરકાર તબક્કાવાર રાજયની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્ત્।ા મંડળોને સર્વાંગી વિકાસ માટે વખતોવખત આવશ્યકતાની સમીક્ષા કરી આર્થીક સહાય આપતી રહે છે. જે, અનુસંધાને આજે રૂ.૨ હજાર કરોડ જેવી માતબર રકમનાં ચેક આપવામાં આવી રહ્યા છે. આ રકમની સહાયતાથી નાના ગામડાથી માંડીને મહાનગરમાં વિકાસ કાર્યોને વધુ વેગ પ્રાપ્ત થશે.

આ પ્રસંગે, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે, મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વ હેઠળ રાજયની ભાજપ સરકાર સંવેદનશીલ, પારદર્શક અને નિર્ણાયક સરકાર છે તેની આમ જનતાને સતત પ્રતીતિ થતી રહે છે. વિવિધ ક્ષેત્રનાં વિકાસ કાર્યો થકી નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા સરકાર કટીબદ્ઘ છે. ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટે આજે રૂ.૨ હજાર કરોડની રકમની ફાળવણી કરવામાં આવી રહી છે.

મેયર  બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સ્થાયી સમિતિના સભ્ય અનિલભાઈ રાઠોડ દ્વારા સમગ્ર શહેરવતી માન.મુખ્યમંત્રી, તથા નાયબ મુખ્યમંત્રી, અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન તથા સમગ્ર સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

(3:06 pm IST)