રાજકોટ
News of Saturday, 20th July 2019

રાજકોટમાં વર્લ્ડકલાસ લાયબ્રેરીનું નિર્માણઃ વિજય રૂપાણી

શહેરમાં પ્રાથમિક શાળા, કોમ્યુનિટી હોલ, આવાસ યોજના સહિત ૨૨૨ કરોડના વિકાસ કામોનું લોકોર્પણ-ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રીઃ વિજયભાઈના નેતૃત્વ તળે રાજકોટનો સર્વાંગી વિકાસ થયો છેઃ મુખ્યમંત્રીનો આભાર માનતા મેયર બીનાબેન આચાર્ય

લોક સેવકના હસ્તે લોકોના વિકાસ કામોનું લોકાર્પણ - ખાત મુર્હુત : રાજકોટના સંવેદનશીલ મુખ્યમંત્રી અને સેવા માટે તત્પર એવા વિજયભાઇ રૂપાણીએ આજે રાજકોટમાં ૨૨૨ કરોડના  વિકાસ કામોના  લોકાર્પણ તથા  ખાત મુર્હુત કર્યા હતા. જેનો મુખ્ય કાર્યક્રમ રૈયારોડ પેરેડાઇઝ હોલના મેદાનમાં યોજાયો હતો. તે વખતની  મુખ્ય તસ્વીરમાં વિજયભાઇ રૂપાણી તથા તેમના પત્ની અંજલીબેન રૂપાણીએ  ભૂમીપુજન કર્યુ હતુ તે નજરે પડે છે. બાજુની તસ્વીરમાં  મુખ્યમંત્રીશ્રી લોકોનું અભિવાદન કરી રહેલા દર્શાય છે ત્થા કાર્યક્રમના મંચ ઉપર ઉપસ્થિત મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કનગડ, સાંસદ મોહનભાઇ કુંડારિયા , ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી,  લાખાભાઇ સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય  ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, પૂર્વ કલેકટર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, શિક્ષણ સમિતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કલેકટરશ્રી તથા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ મ્યુ.કમિશ્નર બંછાનીધી પાની, દંડક અજયભાઇ પરમાર, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, બાંધકામ સમીતી ચેરમેન મનીષ રાડીયા, રૂપાબેન શીલુ, વગેરે અગ્રણીઓ દર્શાય છે. અન્ય તસ્વીરોમાં મ્યુ. કોર્પોરેશનના પદાધિકારીઓ મુખ્યમંત્રીશ્રીનું ફુલહારથી સ્વાગત કરી રહેલા દર્શાય છે.  આ તકે વિવિધ ક્ષેત્રોમાં  લોકોનું સન્માન કરાયુ હતુ તે દર્શાય છે. (તસ્વીરો અશોક બગથરિયા)

રાજકોટ, તા. ૨૦ :. આજે રાજકોટ પધારેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૈયા રોડ પર ૧ાા લાખ પુસ્તકોની ક્ષમતા ધરાવતી અદ્યતન લાયબ્રેરીનું નિર્માણ ૫ કરોડના ખર્ચે થયુ છે. તેનુ લોકાર્પણ સહીત ૨૨૨ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યુ હતુ. આ તકે તેઓએ જણાવ્યુ હતુ કે, રાજકોટમાં વર્લ્ડ કલાસ લાયબ્રેરીનું નિર્માણ થયુ છે. રાજકોટમાં ૮ જેટલી લાયબ્રેરીઓ છે જેના થકી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યુ છે અને પુસ્તકો થકી શિક્ષિત સમાજનું નિર્માણ થઈ રહ્યુ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા.૨૦/૦૭/૨૦૧૯ના રોજ પેરેડાઈઝ હોલની સામે, વોર્ડ નં.૦૯મા ં નિર્માણ પામેલ અઁદ્યતન લાઈબ્રેરી તેમજ સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નં.૪૯, મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.૮૮ના બિલ્ડીંગનું લોકાર્પણ તથા કોમ્યુનિટી હોલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તથા જે. જે. પાઠક શાળા નં.૧૯ના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત વિગેરેની ડીજીટલ તકતીનું અનાવરણ રાજયનામુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયરબિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, કોઈપણ શહેર સંસ્કારી, સાંસ્કૃતિક અને શિક્ષિત નગરી બને તે માટે ફકત રસ્તા, ગટર, લાઈટ, સ્વચ્છતાની સુવિધાની સાથોસાથ લાઈબ્રેરીની સુવિધા પણ આવશ્યક છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.૦૯માં આઠમી વર્લ્ડ કલાસ લાઇબ્રેરીનું નિર્માણ કરવા બદલ રાજય સરકાર વતી રાજકોટ મહાનગરપાલિકા તંત્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજના સમયમાં માણસનો સાચો મિત્ર પુસ્તક છે. વાંચનથી માણસ પોતાની કારકિર્દીની દિશા નક્કી કરી શકે છે. આ લાઈબ્રેરીમાં ગરીબ અને માધ્યમ વર્ગના બાળકો મોંદ્યા રમકડાની મજા માણી શકે તે માટે ટોયઝ લાઈબ્રેરીનું નિર્માણ કરેલ છે. તેમજ યુવાનોને શૈક્ષણિક, રોજગારી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો પણ ઉપલબ્ધ કરાયેલ છે. વિશેષમાં, રાજયભરમાં આધુનિક સુવિધાસભર શાળાઓ મળે તે માટે રાજય સરકાર એ દિશા તરફ આગળ વધી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આજે શાળાઓના નવા બિલ્ડીંગનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા શિક્ષણ માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ.૩૦,૦૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે. ખાસ કરીને ગુજરાત પાણીદાર બને અને લોકો પાણીને પારસમણીની જેમ વાપરે તે દિશા તરફ આગળ વધી ખારા પાણીને મીઠા બનાવવા, ગટરના પાણીને રીસાયકલીંગ કરી ઔદ્યોગિક સિંચાઇ, બગીચાઓને મળે તે માટે રીયુઝ, રીફોર્મ અને રીચાર્જની કાર્યવાહી કરાશે. છેલ્લા ત્રણ વર્ષથી વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેલ છે. છતાં પણ સૌરાષ્ટ્ર કચ્છને પીવાનું પાણી મળી રહે તે માટે જુદા જુદા ડેમોને માં નર્મદાના નીર સાથે જોડવામાં આવેલ છે. આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજનાનું આયોજન કરેલ અને આ યોજના આગળ વધે તે બીડું ઝડપી, રાજય સરકાર સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોને માં નર્મદાના નીર સાથે જોડવા આગળ વધી રહેલ છે.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે મુખ્યમંત્રીશ્રી સહિતના મંચસ્થ સૌ મહાનુભાવોને શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે, શહેરની દરેક સમસ્યાનો કાયમી ઉકેલ આવે એવા નિર્ણાયક સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં લોકોપયોગી વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે.

     જયારે કાર્યક્રમની રૂપરેખા તેમજ પ્રોજેકટસની ટૂંકી વિગત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આપેલ.

કાર્યક્રમની શરૂઆતમાં, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો તેમજ વોર્ડ નં.૦૯ના સ્થાનિક સંગઠન અને  શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા  મુખ્યમંત્રીશ્રીનું ફૂલહાર તથા શાલ વડે, રાજકોટ જીલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનર દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મુખ્યમંત્રી તથા મંચસ્થ મહાનુભાવોએ કરેલ.

બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ કમિટી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવિયા દ્વારા મંચસ્થ સૌ મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવેલ.

     આ કાર્યક્રમમાં, રૂ.૫.૨૭ કરોડના ખર્ચે અદ્યતન લાઈબ્રેરી તથા રૂ.૦.૮૦ કરોડ, રૂ.૦.૭૫ કરોડના ખર્ચે શાળા નં.૮૮ના બિલ્ડીંગનું લોકાર્પણ ઉપરાંત, વોર્ડ નં.૯માં રૂ.૮.૫૧ કરોડના ખર્ચે કોમ્યુનીટી હોલ, રૂ.૧.૩૯ કરોડના ખર્ચે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને રૂ.૦.૪૨ કરોડના ખર્ચે શાળા નં.૧૯ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત મળી, કુલ રૂ.૧૭.૧૪ કરોડના ખર્ચે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

     આ કાર્યક્રમમાં સાંસદ  મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્યો અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઇ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, કોર્પોરેટર વોર્ડ નં.૦૯ શિલ્પાબેન જાવિયા, રૂપાબેન શીલુ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન ભારતીબેન રાવલ તેમજ કોર્પોરેટરશ્રીઓ અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

વોર્ડ નં.૯ મારો દતક વોર્ડ છે જેના લોકો ખુબ ખુશ છેઃ આ વોર્ડ હેપીનેશ ઇન્ડેકસમાં પ્રથમઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ આજે રાજકોટ પધારેલા મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે, રાજય સરકાર પર્યાવરણ માટે ખૂબ જ ચિંતિત છે. જેથી આ માટે દરેક નાગરિક પોતાના ઘરના ધાબા ઉપર સોલાર પેનલ ફીટ થાય, વીજળી બચાવે અને વધારાની વીજળી સરકારને વેચે તે દિશામાં તથા સી.એન.જી. પમ્પો, કચરામાંથી બાયોએનર્જી ઉત્પન્ન કરવાની દિશામાં પણ રાજય સરકાર આગેકૂચ કરી રહેલ છે. શહેરનો વોર્ડ નં.૦૯ કે જે મારો ધારાસભ્ય તરીકેનો દત્ત્।ક વોર્ડ છે. ત્યારે આ વોર્ડમાં ૨૨ જેટલા બગીચાઓ, મહિલા સ્વીમીંગ પુલ, ઓડીટોરીયમ, આધુનિક લાઈબ્રેરી, અને કોમ્યુનિટી હોલ વિગેરે જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે. હવે શહેરનો કયો વિસ્તાર હેપીનેસ ઇન્ડેક્ષમા કયાં સ્થાને છે, તે જોવામાં આવી રહ્યું છે. ત્યારે વોર્ડ નં.૦૯ હેપીનેસ ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે તેવું તેમણે જણાવેલ છે. અંતમાં મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ સ્વચ્છ, ગ્રીન, સ્વસ્થ અને સ્માર્ટ શહેર બને તે દિશામાં રાજય સરકાર આગળ વધી રહી છે.

(3:11 pm IST)