રાજકોટ
News of Thursday, 20th June 2019

એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓને કેન્દ્રના ધોરણે પેન્શન આપવા કેરળના ચુકાદાના આધારે સુપ્રિમમાં કોર્ટમાં ધા

કાયદાના નિષ્ણાંત ૮ બેરીસ્ટર રોકાયા : ટુંક સમયમાં ચુકાદો : ન્યાયની આશા ઉજજવળ

રાજકોટ તા. ૨૦ : ગુજરાત રાજય એસ.ટી. નિગમની સ્થાપના ૧૯૬૦ થી થઇ ત્યારથી પેન્શન યોજના અમલમાં નહોતી. પરંતુ ૧૯૭૨ થી એસ.ટી.માં દાલખ થનારને ફેમીલી પેન્શન યોજના અમલી બનાવાઇ. આ સમયે કેરળના અર્ધસરકારી નિગમો, ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના કર્મચારીઓએ કેન્દ્રના ધોરણે પેન્શન મળે તે માટે પગારમાંથી કપાત કરાવ છતા તેઓને લઘુતમ પેન્શન મળતા અંતે હાઇકોર્ટમાં કેઇસ દાલખ કરતા કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવ્યો અને કેઇસ દાખલ કરનાર તમામ કર્મચારીને ૨૦૧૫ થી કેન્દ્રના ધોરણે પગારના ૫૦ ટકા પેન્શન ચાલુ કરાયુ હતુ.

ત્યારે ગુજરાત એસ.ટી. કર્મચારી સંઘના મહામંત્રી કે. કે. દુધાત્રા અને પ્રમુખ એસ. એમ. બારીયાએ પણ કેરળના જજમેન્ટના આધારે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરેલ છે. જેનો ટુંક સમયમાં ચુકાદો આવવા પર હોવાનું એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘના ઉપાધ્યક્ષ કુરજીભાઇ હરખાણીની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવેલ છે કે એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓને સન્માનીય પેન્શન મળે તે માટે કર્મચારીઓ પાસેથી કોર્ટમાં જવા માટેની કાર્યવાહી પેટે રૂ.૧૦૦ ફી લઇ કેઇસ દાખલ કરાવાયો છે.

સમગ્ર દેશના કુલ ૧૩૩ સંગઠનો મારફતે ૨૦૧૮ થી કેરળ રાજયની હાઇકોર્ટના જજમેન્ટ સાથે સુપ્રિમમાં કેઇસ કરેલ છે. જેમાં દરેક રાજયની એસ.ટી., જી.ઇ.બી., ડેરી ઉદ્યોગ, નાના મોટા નિગમો, અર્ધસરકારી સંસ્થાઓના સંગઠનો છે. તેઓ દ્વારા કાયદાના નિષ્ણાંત ૮ બેરીસ્ટરો રોકવામાં આવ્યા છે. વધારામાં રામ જેઠમલાણીની એપોઇન્ટમેન્ટ પણ લેવામાં આવી છે. આ સંગઠનોની સાથે રહેવા ગુજરાત એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘના મહામંત્રી કે. કે. દુધાત્રાએ પણ પોતાની અંગત ફી ભાગે પડતી ભરી આપેલ છે. ત્યારે હવે ન્યાય મળવાની આશા ઉજવળ બની હોવાનું કુરજીભાઇ હરખાણી (મો.૯૪૨૬૧ ૩૬૭૫૭) ની યાદીમાં જણાવાયુ છે.

(11:46 am IST)