કાલે બહેનો સમુહમાં પાણીમાં યોગ કરશે
એકવા યોગમાં ૧ હજારથી વધુ બહેનો ભાગ લેશેઃ વંદનાબેન ભારદ્વાજ- અલ્પાબેન શેઠના માર્ગદર્શનમાં તૈયારીઓ ચાલુ : ભદ્રાસન, મકરાસન, વજ્રાસન, શવાસન, ફેસયોગા, બલુનપોઝ, ફીશ પોઝ, વિશેષ રજુ કરશેઃ દિવ્યાંગો, ડાયાબીટીશ, થેલેસેમીયાવાળા શહેરીજનો માટે અલાયદી વ્યવસ્થા : રાજકોટ મહાનગરપાલીકાનું આયોજન
રાજકોટ આવતીકાલે યોગદિને મહાનગરપાલીકાના સ્વીમીંગ પુલ ખાતે બહેનો દ્વારા એકવા યોગ રજુ કરવામાં આવનાર છે તસ્વીરમાં આ યોગની તાલીમ લઇ રહેલા બહેનો નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ તા.૨૦, મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઇ વાગડીયા એક સંયુકત યાદીમાં જણાવે છે કે ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભાને સંબોધતી વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા વિચાર રજુ કરેલ. જેના અનુસંધાને સંયુકત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી ૨૧ જુનના રોજ દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલીકા પણ જુદા-જુદા પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત શહેરની શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ વિગેરે દ્વારા પણ જુદા-જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે.
રાજકોટ મહાનગરપાલીકાના લોકમાન્ય તિલક સ્વીમીંગ પુલ (રેસકોર્સ), સરદાર વલ્લભભાઇ સ્વીંમીગપુલ (કોઠારીયા રોડ), મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વીમીંગ પુલ (કાલાવડ રોડ), સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ (પેડક રોડ) ખાતે એકવા યોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ૮૦૦ થી વધુ બહેનોનુ રજીસ્ટ્રેશન થયેલ છે. અને હજુ વધુ બહેનો જોડાશે. અલ્પાબેન શેઠ તથા વંદનાબેન નિતિનભાઇ ભારદ્વાજે જણાવેલ કે, ગ્રાઉન્ડમાં જે યોગા કરાવવામાં આવનાર છે તે તમામ યોગા બહેનો દ્વારા પાણીની અંદર કરવામાં આવનાર છે. જેમકે ભદ્રાસન, મકરાસન, વજ્રાસન, શવાસન તેમજ ખાસ વિશેષમાં ફ્રેસ યોગા કરવામાં આવનાર છે. જેમા બલુન પોઝ, ફીશ પોઝ, લાયન પોઝ, વિગેરે એક વિશેષતા હશે.
એકવા યોગાસન માટે અલ્પાબેન શેઠ તેમજ વંદનાબેન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ તૈયારી કરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા જુદા-જુદા સ્થળોએ યોજાનાર યોગામાં દિવ્યાંગો, ડાયાબીટીશ તેમજ થેલેસેમિયા ધરાવતા શહેરીજનો માટે ઉપરાંત એન.સી.સી. અને એન.એસ.એસ. કેડેટ માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉજવણીમાં શહેરની જુદી-જુદી સામાજીક, ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓનો પણ ખુબ જ સહયોગ મળી રહયો છે.
ભારતીય સંસ્કૃતિમાં યોગ એક અભિન્ન અંગ છે યોગથી શરીરમાં ખુબ જ ઉર્જાનો સંચય થાય છે તેમજ શરીરની તંદુરસ્તી માટે યોગ ખુબ જ જરૂરી છે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ૨૧ જુનના રોજ યોજાનાર યોગ કાર્યક્રમમાં જોડાવવા માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રીએ શહેરીજનોને અપીલ કરેલ છે.
તસ્વીરમાં બહેનો સર્વશ્રી વંદનાબેન નિતિનભાઇ ભારદ્વાજ, અલ્પાબેન શેઠ, તૃપ્તીબેન વ્યાસ, જલ્પાબેન બુવારીયા, ભારતીબેન વસાણી, ભગવતી સંખારવા, હર્ષા ડાંગર, શ્વેતા ખંભાયતા, સોનલ સાગર, વાગ્ભી પાઠક, અંજનાબેન અને દુર્ગાબા જાડેજા નજરે પડે છે. આ પ્રસંગે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઇ વાગડીયા અને દલસુખભાઇ જાગાણી (શાસકપક્ષના નેતા)ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)