માલીયાસણ પાસે ગાય આડી ઉતરતા છકડો પલ્ટી ખાઇ ગયોઃ જોગાભાઇ રબારીનું મોત
સામાકાંઠે ગોકુળનગર કવાટરના પ્રૌઢ ચોટીલા ભાડુ કરી પરત રાજકોટ આવતી વખતે બનાવઃ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
રાજકોટ તા ૨૦ : કુવાડવા નજીક માલીયાસણ પાસે ગાય આડી ઉતરતા છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતા રાજકોટના રબારી યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.મળતી વિગત મુજબ સંતકબીર રોડ, ગોકુળનગર આવાસ યોજના કવાટર નં.૨૦૫માં રહેતા જોગાભાઇ ઉકરડાભાઇ સાબડ ધ્ઉ.વ.૫૦) (રબારી) પરમ દિવસે પોતાની જીજે-૩બીટી-૪૨૫૫ નંબરનો છકડો રીક્ષા લઇને ચોટીલા ભાડુ લઇને ગયા હતા, ત્યારબાદ તે ત્યાંથી પરત રાજકોટ આવતા હતા ત્યારે માલીયાસણ પાસે અચાનક ગાય આડી ઉતરતા જોગાભાઇએ કાબુ ગુમાવતા છકડો પલ્ટી ખાઇ જતા તેને માથાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક જોગાભાઇ સાબડ, જુના માર્કેટીંગ યાર્ડમાં વેપારીની દુકાન પાસે છકડો રીક્ષા લઇને ભાડા કરી પરિવારનું ગુજરાત ચલાવતા હતા. તેને સંતાનમાં ૯ વર્ષનો પુત્ર રવી અને ૭ વર્ષની પુત્રી કાજલ છે. પત્ની રમુબેન માનસીક બીમાર છે અને વૃધ્ધ માતા અંધ છે. પરમ દિવસે બનાવ બનતા તેના નાનાભાઇ ગભરૂભાઇ સાબડ તથા તેના મામાના દીકરા જગાભાઇ ખાંભલા તાકીદે સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા. આ બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. બુટાભાઇ ભરવાડે તપાસ આદરી છે.બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.