રાજકોટ એસટી તંત્રને વેકેશન ફળ્યું :પ્રવાસીઓની સંખ્યામાં 15થી 20 ટકાનો વધારો
રાજકોટ ડિવીઝન દ્વારા અલગ-અલગ રૂટ પર 25 જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરાઈ :એડવાન્સ બુકીંગ પણ વધ્યું
રાજકોટ :રાજ્યમાં વેકેશન ગાળામાં લોકો બહારગામ ફરવા હતા હોવાથી અને હાલના લગ્નગાળાની સિઝનને કારણે રાજકોટ એસટી તંત્રની આવકમાં વધારો થયો છે વેકેશન પૂર્ણ થવામાં છે ત્યારે મોટાભાગના લોકો લગ્ન પ્રસંગે અને બહારગામ ફરવા જતા હોય છે. જેને લઇને રાજકોટના બસ સ્ટેશન પર રોજના મુસાફરોની સંખ્યામાં 15 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. મુસાફરોની સુવિધા માટે એસટી તંત્ર દ્વારા પણ કેટલાક રૂટ પર એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે.
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં સૌરાષ્ટ્રભરના મુસાફરો રોજબરોજ જોવા મળે છે, પરંતુ હાલ વેકેશન શરૂ હોય આ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મુસાફરોને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવીઝન દ્વારા અલગ-અલગ રૂટ પર 25 જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ મુસાફરો પણ પ્રવાસ દરમિયાન સીટ મળી રહે તે માટે એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જેને લઇને રાજકોટ એસ.ટી ડિવીઝન દ્વારા 3 એડવાન્સ બુકિંગ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. દૈનિક મુસાફરોની સંખ્યામાં 15 થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.જેને લઇને એસટી વિભાગને પણ લાખોની આવક થઇ રહી છે.