કોઇપણ સ્થળે બાબા સાહેબની પ્રતિમા મુકવી યોગ્ય નથી : ડો. આંબેડકરજીનું સન્માન જળવાય તે જરૂરી : મેયર
મ્યુ. કોર્પોરેશન બાબા સાહેબના જીવન દર્શન માટે આંબેડકર સ્મારક ભવનનું નિર્માણ કરી રહ્યું છે ત્યારે લોકો સહકાર આપેઃ ડો. ઉપાધ્યાય
રાજકોટ : શહેરના રાજનગર અને ૧૫૦ ફૂટ રીંગરોડ ઉપર વગર મંજુરીએ મુકાયેલ ડો. આંબેડકરજીની પ્રતિમા દુર કરવાથી સર્જાયેલા વિવાદ અંગે શહેરના પ્રથમ નાગરીક એવા મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે પ્રજાજોગ અપિલ કરતાં સંદેશામાં જણાવ્યું હતું કે ડો. બાબા સાહેબ આંબેડકરજી વિશ્વ વંદનીય વ્યકિત છે. તેઓની પ્રતિમા કોઇપણ સ્થળે ન મુકી શકાય. તેઓની પ્રતિમા મુકવા બાબતે બાબા સાહેબનું પુરેપુરૂ માનસન્માન જળવાઇ તે જોવું જરૂરી છે. આથી આ પ્રકારે ડો. બાબા સાહેબની પ્રતિમા મુકવી ન જોઇએ.
મેયરશ્રીએ ઉમેર્યુ હતું કે રાજકોટ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જિલ્લા ગાર્ડન પાસે ડો. બાબા સાહેબ આંબેડકર સ્મારક ભવનનું નિર્માણ થઇ રહ્યું છે તેમાં ડો. આંબેડકરજીના જીવનચરીત્ર અંગેની તસ્વીરો તથા પ્રતિમાઓ મુકવામાં આવશે. આ સ્મારક આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો આ બાબતે સહકાર આપે તે જરૂરી છે તેમ અંતમાં જણાવ્યું હતું. (૨૮.૮)