તડકાથી બચવા ઓઢેલો દૂપટ્ટો વ્હીલમાં ફસાયોઃ પતિના બાઇક પાછળથી પટકાતાં પત્નિનું મોત
પડધરીની દેવીપૂજક મહિલા ગુલાબબેન વાઘેલા પતિ સાથે રાજકોટ દવા લેવા આવી'તીઃ પરત જતી વખતે પરા પીપળીયા પાસે બનાવઃ ત્રણ સંતાન મા વિહોણા થતાં પરિવારમાં કલ્પાંત
રાજકોટ તા. ૨૦: જામનગર રોડ પર પરા પીપળીયાના પાટીયા પાસે પતિના બાઇક પાછળ બેઠેલી પડધરીની દેવીપૂજક મહિલાએ તડકાથી બચવા માટે ઓઢેલો દૂપટ્ટો બાઇકના વ્હીલમાં ફસાઇ જતાં તેણી ફંગોળાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.
જાણવા મળ્યા મુજબ પડધરી બાયપાસ પાસે રહેતી ગુલાબબેન નારૂભાઇ વાઘેલા (ઉ.૨૬) ગઇકાલે સવારે પતિના બાઇક નં. જીજે૩ડીએચ-૮૪૮૯માં બેસીની રાજકોટ પોતાની બિમારીની દવા લેવા માટે આવી હતી. અહિથી બપોરે સાડા બારેક વાગ્યે બંને પરત પડધરી જવા નીકળ્યા ત્યારે ગુલાબબેને તડકાથી બચવા માટે માથે દૂપટ્ટો ઓઢ્યો હતો. બંને પરા પીપળીયાના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે દૂપટ્ટાનો છેડો પવનના કારણે બાઇકના વ્હીલમાં ફસાઇ જતાં ગુલાબબેન બાઇક પાછળથી ફંગોળાઇને પટકાતાં માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન રાત્રે દમ તોડી દીધો હતો.
મૃત્યુ પામનાર ગુલાબબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ નારૂ મનજીભાઇ વાઘેલા કચરા વીણવાની મજૂરી કરે છે. તેણીના મોતથી એક પુત્ર અને બે પુત્રી મા વિહોણા થઇ ગયા છે. બનાવ અંગે ગાંધીગ્રામના પી.એસ.આઇ. જી.એન. વાઘેલા અને ભગીરથસિંહએ મૃતકના પિતા ધ્રોલ સામાગામે રહેતાં શીવાભાઇ અવશીભાઇ સાંગડીયા (ઉ.૪૫)ની ફરિયાદ પરથી જમાઇ નારૂ મનજી સામે ગુનો નોંધ્યો છે.