રે... પંખી... ચણવા કયાં જાય ... ? : રેસકોર્ષના ચબૂતરામાં પંખીઓ દાણા પાણીની રાહ જોઇ રહ્યા છે
રાજકોટ : જીવદયા માટે હરહંમેશ આગળ રહેનારા રાજકોટમાં જીવજંતુથી લઇ માણસો માટે અન્નક્ષેત્રોનો ધમધમાટ રહે છે અને રાજકોટવાસીઓ છુટા હાથે પ્રેમથી સૌને પીવડાવે છે. એટલે જ વર્ષોથી ઠેર-ઠેર ચબુતરાઓમાં પંખીઓ વિચરી રહ્યા છે. રેસકોર્ષનાં ચબુતરામાં દરરોજ સેંકડો જીવદયા પ્રેમીઓ ચણ અને પાણીની વ્યવસ્થા કરે છે પરંતુ કોરોના સામે સુરક્ષાનાં ભાગરૂપે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રેસકોર્ષનાં દરવાજા બંધ થયા છે. પરિણામે આજે સવારે ચણવા આવેલા પંખીઓ ચણ અને પાણી વગર નિઃશાસા નાંખી રહ્યા છે. તસ્વીરમાં એક સમયે જયાં મકાઇ, બાજરી, ચણા જેવા અનાજનાં ઘણાથી ધરતી ઢંકાયેલી રહેતી તે જગ્યાએ આજે ચણને બદલે જમીનમાં રહેલા કાંકરાઓમાં છુપાયેલા દાણા શોધી રહેલા નિર્દોષ પારેવાઓ નજરે પડે છે. તંત્ર આ પક્ષીઓનાં ચણની વ્યવસથા કરે તેવી લાગણી જીવદયા પ્રેમીઓમાં પ્રસરી છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)