ધો.૧૦-૧રના મૂલ્યાંકન કેન્દ્રો બંધ કરો અથવા માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થાની માંગ
કોરોના સામે સાવચેતી રાખવા : શિક્ષણ બોર્ડના અધ્યક્ષને રજૂઆત કરતા પ્રિયવદન કોરાટ
રાજકોટ, તા. ર૦ : કોરોના સામે સાવચેતી રાખવા શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી માધ્યસ્થ ઉતરવહી મૂલ્યાંકન કામગીરી સ્થગિત કરવા અથવા માસ્ક અને સેનેાઇઝરની વ્યવસ્થા કરવા શિક્ષણ બોર્ડની જાગૃતિ સભ્ય ડો. પ્રિયવદન કોરાટે માંગ કરી છે.
શિક્ષણ બોર્ડના ચેરમેનને રજૂઆત કરતા શિક્ષણ બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટે જણાવ્યું છે કે, તાજેતરમાં ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવામાં આવલ એસ.એસ.સી. ધોરણ-૧૦ અને એચ.એસ.સી. ધોરણ-૧રની પરીક્ષાના પેપર ચકાસણી માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર કામગીરીના હુકમ રાજયની દરેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિ શાળાઓના શિક્ષકોને શિક્ષણ-બોર્ડ-ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ છે. આથી જે તે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે શિક્ષકોનો માનવ સમૂદાય ઉપસ્થિત થતો હોય છે. હાલ સમગ્ર વિશવમાં કોરોના વાઇરસનો ભય રહેલો હોય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની કામગીરી શિક્ષણ કર્મચારીઓના હિતમાં હાલ પૂરતી સ્થગિત રાખવા અથવા દરેક મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે કર્મચારીઓ માટે જરૂરી માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા યોગ્ય ઘટતું કરવા માંગણી કરી છે.