રાજકોટ
News of Friday, 20th March 2020

૨૧ માર્ચ શનિવાર ઓશો સંબોધી દિવસ

જીવનને પ્રેમ કરતા શીખો કારણ કે પ્રેમ જ પરમાત્મા સુધી પહોચવાનુ દ્વાર છે

આજે દેશ વિદેશમાં ભગવાન રજનીશને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત મહાન વિચાર અને તત્વચિંતકના રૂપમાં ઓળખવામાં આવે છે તે આ સદીના કદાચ સર્વાધિક ચર્ચાસ્પદ દાર્શનીક કહી શકાય. પોતાના મૌલિક ચિંતન તથા સદંતર નવીન દ્રષ્ટિકોણ અને સાથોસાથ પોતાની નિભીંક સ્પષ્ટતાવાદીતાના લીધે એમનુ વ્યકિતત્વ પ્રારંભથી જ વિવાદાસ્પદ રહ્યુ છે અને આ જ સાહસ દુઃસાહસ તેમની અપાર લોકપ્રિયતા અને ઘોર વિરોધનું સમાન કારણ કહી શકાય તેમ છે.

આજે એક તરફ ભગવાન રજનીશના પ્રશંસકોમાં વિશ્વના કેટલાક લબ્ધ પ્રતિષ્ઠિત મનીષી, પ્રસિધ્ધ કેળવણીકારો છે. આ સિવાય પૃથ્વીના ખુણે ખુણામાં ફેલાયેલા એમના શ્રધ્ધાળુ શિષ્યોની સંખ્યા પણ લાખોમાં છે, પરંતુ બીજી તરફ એમના કટ્ટર વિરોધીઓ નિરંતર ઝેરીલા પ્રચારમાં લાગેલા છે. વિચાર અને અભિવ્યકિતની સ્વતંત્રતાના આ યુગમાં કોઇની સાથે મતભેદ કે અસહમતીની વાતો સમજી શકાય તેમ છે પણ આશ્ચર્યને ખેદની વાત તો એ છે કે મોટાભાગના લોકો ભગવાન રજનીશને સાંભળ્યા વિના વાચ્યા વિના અને સમજ્યા વિના એમના વિરોધીઓની ભીડમાં ઘેટાની જેમ ભળી ગયા છે. તે એમના પર નિરાધાર અને મનઘડત આરોપ લગાડવામાં પણ સંકોચ કરતા નથી. સાચી વાત તો એ છે કે ઓશો રજનીશ આધુનીક યુગના સૌથી વધારે વિવાદાસ્પદ જ નહી સર્વાધીક ખોટી રીતે સમજાયેલ મોસ્ટ મીસઅન્ડરસ્ટુડ વ્યકિત પણ છે.

સંસારમાં જે કોઇપણ વ્યકિતએ ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, કલા, સંસ્કૃતિ, સમાજ કે રાજનિતી કોઇપણ ક્ષેત્રમાં પરંપરાના ચીલા ચીતરીને કહેવાનુ કરવાનુ કે ચાલવાનું સાહસ ઉઠાવ્યુ છે કે ભીડથી અલગ જઇ ઉભા રહેવાનુ જોખમ ઉઠાવ્યું છે, એમની રૂઢીગ્રસ્ત સમાજ દ્વારા સદૈવ પ્રબલ વિરોધ પ્રતિરોધ થયો છે. એમને જાનથી મારી નાખવાના કુટીલ, કુત્સીત ષડયંત્રો રચાયા છે. કોઇને પથ્થરથી ગોળીથી મારી નાખવામાં આવ્યા છે તો કોઇને દેશ નિકાલ કરાયા છે. ઇતિહાસ સાક્ષી છે કે મહાન પુરૂષોના જીવનકાળમાં સમકાલીનો દ્વારા હંમેશા એમનો ઉપહાસ કરવામાં આવ્યો છે. એમનું સાચુ મુલ્યાંકન તો એમના મૃત્યુ પ્રશ્ચાત જ શકય બને છે. આ જ વિશ્વના મહાન વિભૂતીઓની નિયતી રહી છે અને ઓશો રજનીશ પણ આ ત્રાસમાંથી બચી શકયા નથી.

વાસ્તવમાં જો ધ્યાનપુર્વક વિચારવામાં આવે તો ઓશો રજનીશ કોઇ એક વ્યકિતનું નામ નથી, પરંતુ એ જીવનદ્રષ્ટિ, એક જીવન શૈલીનુ નામ છે. રજનીશ વાસ્તવમાં એક વ્યકિત નહી એક સંસ્થા છે. એક પ્રગતિશીલ આંદોલન એક ક્રાંતિકારી અભિયાન છે. ધર્મ અને સમાજની અસ્તવ્યસ્ત રૂઢિયોની વિરૂધ્ધ ખુલ્લો વિદ્રોહ છે. રજનીશનો અર્થ છે. માનવતાને જાગૃત કરવાનો, મનુષ્યને રૂપાંતરીત કરવાનો એક અતૂટ સંકલ્પ. રજનીશ દરેક પ્રકારના પાખંડ અને ગુલામીનો મનોવૃતિને લલકારતો એક નિર્ભીક પડકાર છે. રજનીશ પરંપરાનો ખંડિયરો ઉપર ખડો થયેલો નવા યુગનો સુત્રધાર છે. તે માનવતાનો મુકિતદાતા મસીહા છે. તે કોઇ ઉપરવાળાનું અવતરણ નથી કે નથી કોઇ પીર પયગંબર, એ તો આ ધરતીમાંથી જ ઉદભવેલું મનુષ્ય ચેતનાના ઉર્ધ્વીકરણનું સર્વોતમ શિખર છે.

આજે ધર્મનું સ્વરૂપ ઘણુ વિકૃત થઇ ચુકયુ છે. શાસ્ત્રોકત વિધિવિધાન અને આચારસંહિતાઓને જે ધર્મનું લક્ષણ માની લેવાયુ છે. ધર્મ આજે સંપ્રદાયની સંકીર્ણ સીમાઓમાં સંકોરાઇ ગયો છે. એક અનંત પારાવાર હવે ગંધાતા સડેલા પડતર પાણીના ખાબોચીયું બની ગયુ છે. આજે કેવળ કર્મકાંડ અને બ્રહ્માચારથી જ ધર્મની ઓળખાણ છે. વ્રત - ઉપવાસ રાખવા, બ્રાહ્મણોને મોટા દાન દક્ષિણા દઇ યજ્ઞ, અનુષ્ઠાનનો કરાવવા, ધર્મગ્રંથોના અખંડ પાઠ તથા કિર્તન મંડળીઓને ભાડેથી બોલાવી વિશાળ જાગરણોના  આયોજનો કરવા દેવ મંદિરો, ધર્મશાળાઓનું નિર્માણ, ગંગા સ્નાન અને તીર્થયાત્રાઓ આ બધુ આજ કાલ મનુષ્યને ધર્માત્મા બનાવવાનો અધિકાર આપે છે. આખો દિવસ ચોર બાજારી કરવાવાળો, ગરીબોનું લોહી ચુસવાવાળો સાંજે મંદિરે જઇ ભકિતનો ઢોંગ રચશે. આજે ધર્મના નામ પર હુલ્લડો થાય છે. નૃશંઘ હત્યાઓ થાય છે. એકબીજાના ધર્મસ્થાનોનો નાશ કરવામાં આવે છે આગ લગાડાય છે. સૌએ પોતપોતાની હાટડી નાખી દીધી છે. દરેક પેઢી પોતાના ગ્રાહકોની ભીડ ભેગી કરવામાં લાગી ગઇ છે. ધર્મ આજે એક વ્યવસાય, એક શો, એક લીલામ, એક પ્રદર્શન બની ગયો છે.

ઓશો રજનીશ એવા ધર્મનું સમર્થન નથી કરતા કે જીવન વિરોધી હોય, સમાજ પ્રત્યે જવાબદારી છોડી મનુષ્ય પલાયનવાદી બની જાય તે એમને મંજૂર નથી. સાચો ધર્મ જીવન અને જગતનો નિષેધ નથી કરતો. જીવન પરમાત્માનું વરદાન છે. અદભૂત ઉપહાર છે તેઓ કહે છે.

ઓશો રજનીશ થોથી નૈતિકતાને માત્ર દંભ માને છે. એમનું જીવન દર્શન ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ શરીરથી આત્મા તરફ અને સ્થળથી સુક્ષ્મ તરફની યાત્રા છે. તેઓ સંયમના વિરોધી નથી પરંતુ તે સંયમ ઉપરથી બળપુર્વક લદાયેલો ન હોવો જોઇએ. સંયમ સ્વતઃ સહજ હોય તો જ વરૈણ્ય છે. ધર્મ શાસ્ત્રો દ્વારા ઉપરથી લાદેલો સંયમ ઘણા ખતરનાક હોય છે. મનોવૈજ્ઞાનિક કહે છે, કામ, ક્રોધ, ધૃણા, હિંસા આદિ લાગણીઓને જેટલી દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમનામાં એટલી જ ઉંડી ઉતરતી જવાની છે. આ પરિસ્થિતિમાં બહારથી શાંત અને સંત દેખાતો માનવી ભીતર ધૃણા ક્રોધ અને કામ વાસનામાં સળગી રહ્યો હોય છે. એટલે ઇન્દ્રીયદમનથી લાભ નહી હાની વધુ થવાની છે. ઓશોની વ્યાખ્યા મુજબ ધર્મ એ જીવન અને જગતની પલાયનનો માર્ગ નથી પણ ધર્મનો મનુષ્યને પરિવર્તન અને રૂપાંતરણનો માર્ગ પ્રશસ્ત કરે છે ધર્મ સંસારને દુઃખનું ઘર કે જીવનને નર્કનું દ્વાર માનીને એનો ત્યાગ કરવાનુ કહેતો નથી કારણ કે જો મન નહી બદલાય તો માણસ દૂર જંગલમાં કે પહાડમાં પણ જાય તો ત્યા સંન્યાસી નહી પણ સંસારી જ રહેવાનો છે. કેવળ વસ્ત્ર બદલવાથી વ્યકિત નથી બદલાતો, ધર્મ વાસ્તવમાં મનુષ્યને રૂપાંતરીત કરવાની કળા છે. સમ્યક જીવન જીવવાની કળા છે.

સંબોધિ દિવસ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. સમય બપોરે ૩ થી રાત્રીના ૮ાા.

સ્વામી સત્યપ્રકાશ

મો.૯૪૨૭૨ ૫૪૨૭૬

(4:04 pm IST)