રાજકોટ
News of Wednesday, 20th March 2019

રેલનગરની આવાસ યોજનામાં ગંદા પાણીની રેલમછેલ

લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપના બંધ બ્લોકમાં ડ્રેનેજ ઉભરાઇઃ આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની ઉગ્ર માંગ

રાજકોટ તા.૨૦: શહેરના વોર્ડ નં. ૩માં રેલનગર વિસ્તારમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં ડ્રેનેજની સમસ્યાનો ઉકેલ લાવવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા માંગ કરવામાં આવી છે.

આ અંગે વોર્ડ નં. ૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં. ૩ 'લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપ' ૨૬/બી માં નં. બી જી/૧૨માં છેલ્લા ૧ માસથી ગંદુ પાણી (લેટ્રીન - ડ્રેનેજ)નું આખા બ્લોકમાં ઉભરાય છે. આ બ્લોક બંધ હાલતમાં છે. સ્થાનિક લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં સુધી કાર્યવાહી થઈ નથી.

વધુમાં ગાયત્રીબાએ જણાવ્યુ હતુ કે, સ્વચ્છતાના બણગા ફુંકતા શાસકો અને સ્માર્ટ સીટીની વાત કરતા આ તંત્રની બેદરકારી છતી થાય છે. આ ગંદકીના કારણે આજુબાજુ રહેવાસીઓમાં રોગચાળાનો ભય ફેલાય રહ્યો છે ત્યારે આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

(3:40 pm IST)