ડો.યાજ્ઞીક રોડ પરની મારી કોઇ પ્રોપર્ટી કોઇને વેંચી નથીઃ ડો.દસ્તુર
છેલ્લા કેટલાક મહિનાથી બજારમાં કોઇ હિતશત્રુ દ્વારા ફેલાવાતા જુઠાણા અંગે ખુલાસો કરતા ખ્યાતનામ તબીબ
રાજકોટ, તા., ૧૯: ડો.યાજ્ઞીક રોડ પર વિશાળ જુનવાણી બંગલો ધરાવતા ખ્યાતનામ તબીબ ડો. દારાયેસ દસ્તુર દ્વારા પોતાની પ્રોપર્ટી ૧૫૦ કરોડમાં અગ્રગણ્ય બિલ્ડરને વેંચી હોવાના છેલ્લા કેટલાક મહિનાથી બજારમાં ફેલાયેલા સમાચાર સત્યથી વેગળા હોવાનું આજે ડો.દારાયેસ દસ્તુરે અકિલાને જણાવ્યું હતું. તેઓએ જણાવેલ કે, છેલ્લા ચારેક મહિનાથી આવી અફવા જમીન-મકાનના ધંધાર્થીઓમાં અને માર્કેટમાં ફેલાયેલી હોવાથી સગા-સબંધીઓ-મિત્રો દ્વારા સતત પુછપરછ થવાથી ખુલાસા આપવા પડે છે. આજે અકિલાના માધ્યમથી જાહેર ખુલાસો કરી જણાવું છું કે મેં મારી યાજ્ઞીક રોડ અને આસપાસની તસ્સુભાર મિલ્કત કોઇને પણ વેંચી નથી. કોઇ હિતશત્રુ દ્વારા આવું જુઠાણું શા માટે ફેલાવાઇ રહયું છે? તે હું પણ સમજી શકતો નથી. આવા સમાચારો તદન ખોટા છે.