કોરોનાના કેસો વધતા...કલેકટર દ્વારા ખાનગી લેબ અને હોસ્પીટલ પાસેથી ઓપીડી ડેટા મેળવવાનું શરૂ
ટેસ્ટીંગ વધારાયા...ગઇકાલે ૭૮૦૦ નું ટેસ્ટીંગઃ હાલ ૧ર બાળકો હોસ્પીટલમાં દાખલ... : ગ્રામ્ય લેવલે માસ્કની જાગૃતિ માટે ખાસ ઝુંબેશઃ હવે ૩૦ હજાર બાળકોને રસી બાકી...
રાજકોટ તા. ર૦ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબૂ કોરોનાના કેસો વધતા ચિતાંતુર બની ગયા છે, અને ધડાધડ એક પછી એક મીટીંગો યોજી પગલા લેવાનું શરૂ કર્યું છે, કલેકટરે આજે ટેલીફોનીક વાતચીતમાં ''અકિલા''ને જણાવ્યું હતું કે કોરાનાના કેસો બે દિવસથી વધ્યા છે, પરીણામે અમે ટેસ્ટીંગ પણ વધારી દિધુ છે, પહેલા ૩ હજારનું ટેસ્ટીંગ થતું, હતું. ગઇકાલે ૭૮૦૦ લોકોને આવરી લેવાયા હતા. તે ઉપરાંત આરટી-પીસીઆર રપપ૬ લોકોનું તો એન્ટીજન-૭૪૦ લોકોના ટેસ્ટ કરાયા હતા.
કલેકટરે જણાવેલ કે અમે હવે ખાનગી લેબોરેટરી અને પ્રાઇવેટ હોસ્પીટલ પાસેથી દરરોજના ઓપીડી ડેટા લેવાનું શરૂ કર્યું છે, તે ઉપરાંત પીડીયુ અને અન્ય સરકારી હોસ્પીટલમાંથી ડેટા મેળવી...કોરોનાના કેસોમાં કેટલા મોટા લોકો અને કેટલા બાળકો, તેની અસર સહિતની વિગતો જાણી તે પ્રમાણે કાર્યવાહી કરાઇ રહી છે.
કલેકટરે ઉમેર્યુ હતું. કે, હાલ ૧ર બાળકો હોસ્પીટલમાં દાખલ છે, જેમાં પ બાળકો પીડીયુમાં તો ૭ બાળકો પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે.
તેમણે જણાવેલ કે સરકારની સુચના છે કે માસ્ક અંગે જાગૃતી લાવો અને તેના પરિણામે તંત્ર ગ્રામ્ય લેવલે પોસ્ટર ગાડી-રીક્ષામાં -માઇક દ્વારા ટુંક સમયમાં કાર્યવાહી કરશે.
બાળકોને રસીકરણ અંગે કલેકટરે જણાવ્યું હતું કે હવે ૩૦ હજાર બાળકોને રસી આપવાની બાકી છે, જીલ્લામાં ૯૧ હજાર તો રાજકોટ શહેરમાં ૮૦ હજાર બાળકોને રસી અપાઇ ગઇ છે.