રાજકોટ
News of Wednesday, 20th January 2021

'તારા બાપને કે રાજકોટમાં મકાન લઇ આપે' કહી પ્રજાપતી સોસાયટીમાં ભાવનાબેન અગ્રાવતને ત્રાસ

સરધાર રહેતા પતિ શિવલાલ, ખાંભાના જેઠ ભાનુભાઇ, જેઠાણી ગીતાબેન અને રાજકોટના નણંદ જયાબેન સામે ગુનો

રાજકોટ, તા.૨૦: દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલી પ્રજાપતી સોસાયટીમાં રહેતી મહિલાને સરધારમાં રહેતા પતિ, અમરેલીના ખાંભામાં રહેતા જેઠ, જેઠાણી અને નણંદ ઘરકામ, તથા ચારીત્ર્ય પર શંકા કરી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટી શેરી નં.૪માં રહેતા ભાવનાબેન શિવલાલભાઇ અગ્રાવત (ઉ.વ.૪૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં સરધારમાં રહેતા પતિ શીવલાલ વનમાળીદાસભાઇ અગ્રાવત, અમરેલીના ખાંભાના જેઠ ભાનુભાઇ વનમાળીદાસભાઇ અગ્રાવત, જેઠાણી ગીતાબેન અગ્રાવત અને રાજકોટ દોશી હોસ્પિટલ પાસે ગુરૂપ્રસાદ ચોકમાં રહેતા નણંદ જયાબેન ગુણવંતભાઇ નિમાવતના નામ આપ્યા છે. ભાવનાબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતાના વર્ષ ૨૦૦૩માં ખાંભાના શીવલાલ વનમાળીદાસભાઇ અગ્રાવત સાથે બીજા લગ્ન થયા હતા. પતિ શીવલાલની પહેલી પત્નિના અવસાન બાદ તેના પણ પોતાની સાથે બીજા લગ્ન છે. લગ્ન બાદ પતિ, સાસુ, જેઠ, જેઠાણી સાથે સંયુકત કુટુંબમાં ૬ માસ સાથે રહેલ બાદ બે વર્ષ સુધી લગ્ન જીવન સારી રીતે ચાલેલ બાદ પતિને શિક્ષક તરીકે નોકરી મળતા અમરેલીના ખડખડ ગામે રહેવા ગયેલ, લગ્નના દોઢ વર્ષ બાદ પોતાને પુત્રની પ્રાપ્તી થઇ હતી. ત્યારથી પતિનું વર્તન બદલવા લાગેલ અને પતિ ઘર ખર્ચ માટેના પૈસા ન આપતા અને ઘરની કોઇપણ જવાબદારી ન લેતા અને પોતાને કહેતા કે 'તારા બાપએ કરિયાવરમાં કંઇ સામાન આપેલ નથી. તારા બાપને કે આપણને રાજકોટમાં એક મકાન લઇ દે! તેમ કહેતા અને જેઠ પણ અવાર-નવાર કરિયાવર બાબતે મેણા ટોણા મારતા અને પતિને ચઢામણી કરતા હતા. અને કહેતા કે 'તારી પત્નિને તું એના માવતરના ઘરે મુકી આવ હું તારા માટે બીજી સારી છોકરી ગોતી દઇશ. અને જેઠાણી તે પતિ કહેતા કે 'ઘર ખર્ચ માટે પૈસા ન આપતો' તેને પૈસા જોઇતા હશે તો તેના માવતરેથી લઇને આવશે' અને તારી પત્નિને ઘરની બહાર કાઢીશ નહી, એને ઘરમાં પૂરીને જ રાખજે તેમ કહી પતિને ચઢામણી કરતા હતા અને પોતાના ચારિત્ર્ય પર શંકા કરી ગાળો આપી ઝઘડો કરી મારકુટ કરતા હતા, બાદ પતિની ઉમરાડી ગામે બદલી થતા પોતે પતિ સાથે રાજકોટમાં પોતાના પિતાના ફલેટમાં રહેતા હતા ત્યારે પણ પતિ પોતાની સાથે અવારનવાર ઝઘડાઓ કરી દારૂ પી મારકુટ કરતા હતા અને ફલેટ પોતાના નામે કરી દેવા માટે જીદ કરતા હતા ત્યારે તેને બંને વચ્ચે બોલાચાલી થતા પોતાને બહાર કાઢી મુકયા હતા બાદ પોતે ૨૦૧૩માં પતિ, જેઠ, જેઠાણી વિરૂધ્ધ ત્રાસ અંગેની ફરીયાદ કરી હતી, બાદ નામદાર કોર્ટમાં ૨૦૧૬માં સમાધાન થયુ હતુ અને પોતે ખારચીયા ગામે પતિ સાથે રહેતા હતા ત્યાં પણ પતિ અવારનવાર ઝઘડો કરી ત્રાસ આપતા હતા, પતિ છ માસ પહેલા ઘર મુકીને નાસી જતા પોતે તાલુકા પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી. બાદ પોલીસ દ્વારા તેનો સંપર્ક થતા સમાધાનની અવારનવાર વાત કરતા તે સમાધાન ન કરતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ.એન.એસ.સવનીયાએ તપાસ હાથ ધરી છે.

(2:54 pm IST)