રાજકોટમાં આજે કોરોનાનો મૃત્યુ આંક ૧:નવા ૧૯ કેસ
શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસ ૧૪,૭૮૬ નોંધાયા તથા ૧૪,૧૯૧ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૬.૦૯ ટકા થયોઃ શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૩૩૩ બેડ ખાલી
રાજકોટ, તા. ૨૦: શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં વધ-ઘટ થઇ રહ્યો છે ત્યારે આજે એક દર્દીનું મોત થયું છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૯ કેસ નોંધાયા હતા.
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી.
આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૯નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૦ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૧દર્દીએ દમ તોડી દીધો હતો.
કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૩૩૩ બેડ ખાલી છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.
બપોર સુધીમાં ૧૯ કેસ
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૯ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૭૮૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૪,૧૯૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૬.૦૯ ટકા રિકવરી રેટ થયો છે.
જયારે આજ દિન સુધીમાં ૫,૫૮,૭૭૮ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી૧૪,૭૮૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૬ ટકા થયો છે.
નવા ૬ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
શહેરમાં ગઇકાલે રણછોડનગર, સુખસાગર પાર્ક, ન્યુ જાગનાથ પ્લોટ, અલય પાર્ક સહિતના નવા ૬ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૨ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.