૩ સોની વેપારી પેઢી ઉપર આઈટીના સર્વેમાં ૩૫ લાખની રોકડ - દસ્તાવેજો કબ્જે
હિસાબી સાહિત્ય, કોમ્પ્યુટર - મોબાઈલમાંથી ડેટા કબ્જે - સમીક્ષા બાદ ડિસ્કલોઝર થશે
રાજકોટ, તા. ૨૦ : નોટબંધીની સ્કુટીનાઈઝ બાદ આવકવેરા વિભાગે ડિમાન્ડ નોટીસ ફટકારવાનું શરૂ કર્યુ છે ત્યારે ચાર દિવસ પૂર્વે રાજકોટ અને જૂનાગઢના ત્રણ સોની વેપારી ઉપર આવકવેરા વિભાગે સર્વે હાથ ધર્યો હતો.
આવકવેરા વિભાગની ગુપ્તચર શાખા દ્વારા વી.કે. જવેલર્સ, ચેતન આટ્ર્સ અને જૂનાગઢની એક પેઢી ઉપર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ૨૪ કલાકથી વધુ ચાલેલા આ સર્વેમાં આવકવેરા વિભાગે થોકબંધ સાહિત્ય કબ્જે કર્યુ હતંુ અને નાણાકીય વ્યવહાર હિસાબી સાહિત્ય, કોમ્પ્યુટર અને મોબાઈલમાં રહેલા ડેટા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવકવેરા વિભાગની ગુપ્તચર શાખાએ ત્રણમાંથી એક જગ્યાએ ચાલેલા સર્વે સર્ચમાં પરિણામતા ૩૫ લાખ રૂપિયાની રોકડ કબ્જે કરી છે.
આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલ દસ્તાવેજોની સમીક્ષા બાદ ડિસ્કલોઝર જાહેર થનાર હોવાનું જાણવા મળે છે.