વોકહાર્ટ હોસ્પિટલમાં તબીબની બેદરકારીઃ વાયર રહી ગયોઃ દર્દીના સગાના આક્ષેપઃ ઉગ્ર રજૂઆત
ડો. જયંત મહેતા અને ડો. પંડયા સામે પગલા લેવા સગાઓની માંગ
રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી મહિલા દર્દી રેખાબેન પાટડીયાને છાતીમાં વાયર રહી ગયો હતો તે નજરે પડે છે. બીજી તસ્વીરમાં રેખાબેન પાટડીયા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૦ : શહેરની ટોચની હોસ્પિટલ વોકહાર્ટ હોસ્પિટલમાં એક દર્દીની છાતીમાં તબીબની બેદરકારીથી વાયર રહી ગયાનો બનાવ પ્રકાશમાં આવતા સગા-વ્હાલાઓએ ભારે હોબાળો મચાવ્યો છે.
જલારામ-૨, યુનિવર્સિટી રોડ ખાતે રહેતા રેખાબેન હસમુખભાઇ પાટડીયા (ઉ.વ.૫૦)ને સુગરની બીમારી થતાં વોકહાર્ટ હોસ્પિટલમાં ડો. જયંત મહેતા પાસે સારવાર માટે દાખલ થયા હતા. દરમિયાન રેખાબેનનું ડાયાલીસીસ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન રેખાબેનને છાતીમાં વાયર રહી જતાં છાતીનું ઇન્ફેકશન વધી જવા પામેલ.
રેખાબેન પાટડીયાના જમાઇ નિલેશભાઇ સોનીએ જણાવ્યું હતું કે, વોકહાર્ટ હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીને કારણે મારા સાસુની તબિયત બગડી છે. છાતીમાં વાયર રહી ગયો છે. ડોકટરોએ આ વાયર ઓગાળવાની દવા પણ આપી હતી પરંતુ વાયરને બદલે લોહીની ટાકાવારી સાવ ઘટી ગઇ છે. ડો. જયંત મહેતા અને ડો. પંડયાની બેદરકારી અંગે અમે આગામી સમયે કાનૂની પગલા ભરીશું. વોકહાર્ટ હોસ્પિટલમાં બનાવને પગલે ભારે હોબાળો મચી ગયો છે. (૨૧.૩૦)