૭ માસ પહેલા જ પરણેલી ૧૯ વર્ષની હેમાદ્રીનો ગળાફાંસો ખાઇ આપઘાત
લક્ષ્મીનગરમાં બનાવઃ મુળ ઓરિસ્સાની નવોઢાને રાજકોટમાં ગમતું ન હોઇ ગુમસુમ રહેતી'તી
રાજકોટ તા. ૧૯: લક્ષ્મીનગર શેરી નં. ૮માં કિશોરભાઇના મકાનમાં રહેતાં મુળ ઓરિસ્સાના હેમત નાગની પત્નિ હેમાદ્રી (પૂનમ) (ઉ.૧૯)એ ઘરમાં લોખંડની આડીમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ થતાં માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢક અને રવિરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ હિમાદ્રી (પૂનમ)ના લગ્ન હજુ સાડા સાત મહિના પહેલા જ થયા હતાં. તેનો પતિ હેમત જેના મકાનમાં રહે છે એ કિશોરભાઇની બાંધકામની સાઇટ પર જ કડીયા કામની મજૂરી કરે છે. તે દોઢ માસ પહેલા જ પત્નિને રાજકોટ લાવ્યો હતો. પરંતુ તેણી અહિ આવી ત્યારથી ગમતું ન હોવાનું રટણ કરતી હતી અને ગુમસુમ રહેતી હતી. ગત સાંજે પતિ બહારથી ઘરે આવ્યો ત્યારે પત્નિને લટકતી જોઇ અવાચક થઇ ગયો હતો. કોઇએ ૧૦૮ને જાણ કરતાં તેના ઇએમટીએ તેણીને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત પાછળ બીજુ કોઇ કારણ તો જવાબદાર નથી ને? તે અંગે તપાસ યથાવત રાખવામાં આવી છે.