રાજકોટ
News of Tuesday, 19th November 2019

રાજકોટમાં આહિર શૌર્ય દિવસની ઉજવણી, શ્રધ્ધાંજલી કાર્યક્રમ, વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપીત

૧૧૪ જવાનોની વીરગાથા માત્ર આહિર સમાજ જ નહિ, દેશનું ગૌરવ

રાજકોટ તા. ૧૯: ગઈકાલે શહેરના રેસકોર્ષના મેદાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ૧૯૬૨માં ચીન અને ભારત વચ્ચેના યુધ્ધમાં ચીનના ૧૩૦૦થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતારનાર અને દેશની રક્ષા કાજે શહીદી વ્હોરનાર આહીર સમાજના ૧૧૪ જવાનોની વીરગાથા એ માત્ર આહીર સમાજનું ગૌરવ નહી પરતું સમગ્ર દેશનુ ગૌરવ છે. આ આપણી સેનાનું ગૌરવ થાય તેવી બીના છે. આપણા વીર શહીદો સામી છાતી એ લડયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આહીર સમાજની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, આહીર સમાજમાં અનેક લોકોએ સમાજ, દેશ,ધર્મ અને બીજાની રક્ષા માટે જાનની આહુતિ આપી છે તેમ  શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે બીજાની સુરક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વગર બલિદાન આપવું તેમની ગળથૂથીમાં રહેલ છે. આ શૌર્ય દિવસનો કાર્યક્રમ ભવિષ્યની પેઢીને સાચા અર્થમાં પ્રેરણાદાયી અને ઉપયોગી બનશે આવા પ્રકારના કાર્યક્રમો દેશની રક્ષા, મૂલ્યો અને ધર્મની રક્ષા માટે આવશ્યક છે.રાજયના વિવિધ સમાજની નવી પેઢીના વિકાસ માટે રાજય સરકાર ફરજના ભાગરૂપે મદદરૂપ થવા તૈયાર છે. આપણે આપણા માનબિંદુઓને પ્રસ્થાપિત કરવા અને  ભવ્ય ભારતના નિર્માણમાં સૌ કટિબદ્ઘ બનીયે.

આજના આ આહિર શૌર્ય દિવસના કાર્યક્રમમાં ગત તા. ૧૮/૧૧/૧૯૬૨ ના ચીનના સાથે થયેલા રેજાંગલા યુદ્ઘમાં શહીદ થયેલા ૧૧૪ આહિર વીર જવાનો રાષ્ટ્રની રક્ષા ધર્મ રક્ષા,ગાયોની રક્ષા અને આશરા ધર્મ માટે તેમણે બલીદાન આપેલ છે તેવા આહિર સમાજની માતાઓ, સપૂતો વિગેરેને શ્રદ્ઘાસુમન અર્પણ કરવા આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રીશ્રી રાવ ઈંદ્રજિતસિંહે શૌર્ય દિવસ નિમિતે હરિયાણાના પૂર્વ સૈનિકોને આમંત્રણ આપવા બદલ સમિતિનો આભાર માનતા જણાવ્યું હતું કે,આહીર સમાજ માત્ર ગુજરાત નહિ પરંતુ સમગ્ર દેશમાં બલિદાન અને વીરતા માટે જાણીતો છે. હરિયાણવી આહીરો પાણીપત થી લઈ બીજા વિશ્વયુદ્ઘ માં અગ્રેસર રહ્યાનું તેમણે જણાવયું હતું. કુમાઉ રેજિમેન્ટ ના૧૨૦જવાનોએ દુશમન દેશના૧૩૦૦જવાનોને પરાસ્ત કર્યા તે બહાદુરી અને બલિદાનની નોંધ આજે સમગ્ર દેશ લઈ રહ્યાનું તેમણે સગૌરવ જણાવ્યું હતું.

મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ આહીર સમાજ આશરો અને બલિદાન માટે જાણીતો હોવાનું અને આજનો સમાજ શિક્ષણ સાથે રાજયના વિકાસમાં ભાગીદાર બને તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. તેમણે આ તકે અમદાવાદ ખાતે આહીર સમાજની હોસ્ટેલ માટે ટોકનદરે ફાળવેલ જમીન માટે સરકારનો આભાર માન્યો હતો.

આજ  પ્રસંગે રાજય મંત્રીશ્રી વાસણાભાઈ આહીરે જણાવ્યું હતું કે આહીરોની શૌર્ય ગાથા હજારો વર્ષોથી પ્રચલિત છે. આહીર સમાજ વ્યવસાયની સાથોસાથ શિક્ષણમાં પણ આગળ આવે તે માટે ઉપસ્થિત જનસમુદાયને આહવાન કર્યું હતું.

આ પ્રંસગે હરિયાણાથી ઉપસ્થિત કુમાઉ રેજીમેન્ટના પૂર્વ કેપ્ટન રામચંદ્ર યાદવે ભારતીય જવાનોની બહાદુરીની યુદ્ઘ સમયની પરિસ્થિતિ વર્ણવી હતી અને કેવી વિકટ પરિસ્થિતિમાં બહાદુરીપૂર્વક આપણા જવાનો લડ્યા હતા તે કહ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાઓએ રેજાંગલા મેમોરિયલ 'આહીરધામ'ની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પી હતી.

સન ૧૯૬૨માં ચીન અને ભારત વચ્ચેનાં યુદ્ઘમાં ચીનનાં ૧૩૦૦થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતારનાર અને દેશની રક્ષા કાજે શહિદી વ્હોરનાર આહીર સમાજનાં ૧૧૪ જવાનો અને માં ભોમની રક્ષા માટે બલિદાન આપનાર દેશના તમામ શૂરવીરોને શ્રદ્ઘાંજલી અર્પવા આજે રેસકોર્સ ખાતે ૧૫,૦૦૦થી વધુ આહીરો ઉમટી પડયા હતા. આહીર સમાજના પરંપરાગત સફેદ વસ્ત્રો પહેરીને શ્રદ્ઘાંજલી અર્પી વધુ એક  વલ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા આહીર સમાજ શૌર્ય દિવસ સમિતિને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.

રાજકોટ ખાતે આહીર સમાજના વીર શહીદોને શ્રદ્ઘાંજલિ અર્થે આયોજિત શૌર્ય દિવસની ભાવપૂર્વક  ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રંસગે વિશાળ સંખ્યામાં આહીર સમાજ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ સૈનિકો કેપ્ટન રામચંદ્ર યાદવ તેમજ હવાલ દાર ન્યાલસિંહજીનું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મોમેન્ટો આપી અભિવાંદન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય સર્વે શ્રી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભગવાનભાઇ બારડ, અમરીશભાઈ ડેર, બોર્ડ નિગમના ચેરમેન શ્રી મુળુભાઇ બેરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ, અગ્રણીઓ શ્રી નારણભાઇ ચાવડા, ઉદયભાઇ કાનગડ, ઘનશ્યામ ભાઈ ખાટરીયા, લાભુભાઈ ખીમરાણીયા, મુકેશભાઈ ડાંગર, અર્જુન ભાઈ ખાટરીયા, દિલીપભાઈ ચાવડા, બાબુભાઈ, અમરીશભાઈ, ભાનુભાઇ મેતા, ભાનુબેન બાબરીયા, કર્નલ, તુષાર જોશી, પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, કલેકટર રૈમ્યા મોહન, કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ અને અન્ય રાજયમાંથી આહિર સમાજના અગ્રણી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન શ્રી ઘનશ્યામભાઈ એ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા આહિર શૌર્ય  દિવસ સમિતિના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:45 am IST)