રાજકોટ
News of Monday, 19th October 2020

ભા.જ.પના સિનિયર કોર્પોરેટરનો વસવસોઃ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાના કામો જ થાય છે

જનરલ બોર્ડમાં કશ્યપ શુકલના વિધાનોથી કોંગી કોર્પોરેટરો ખુશઃ વોર્ડ નં.૩માં પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સુચવે તેજ કામો થતા હોવાનું સ્પષ્ટ કર્યુ

રાજકોટ તા. ૧૯ : આજે મળેલા મ્યુ.કોર્પોરેશનના છેલ્લા જનરલ બોર્ડમાં શાશક પક્ષ ભા.જ.પ.ના સિનિયર કોર્પોરેટર કશ્યપભાઇ શુકલે શહેરમાં પ્રદેશ કક્ષાના નેતાઓએ સુચવેલ કામો થતા હોવાનો વસવસો વ્યકત કર્યો હતો.

જનરલ બોર્ડની ચર્ચામાં ભાગ લેતી વખતે કશ્યપભાઇ શુકલે જણાવેલ કે વોર્ડમાં જે કોર્પોરેટર પ્રદેશમાં હોદ્દો ધરાવતા હોય તેવા બળુકા નેતાના કામો જલ્દી થાય છે અન્ય સ્થાનિક કક્ષાના નાના કોર્પોરેટરોના કામો ટલ્લે ચડે છે. આવો અન્યાય ન થવો જોઇએ. આમ ખુદ શાશક પક્ષ ભા.જ.પ.ના સિનિયર કોર્પોરેટરે આવો વસવસો વ્યકત કરતા કોંગ્રેસના કોર્પોરેટરોએ તાળીઓ વગાળી કશ્યપભાઇને સમર્થન આપ્યું ત્યારે કશ્યપભાઇ સ્પષ્ટ કર્યુ હતું કે તેઓ વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની વાત કરે  છે વોર્ડનં.૩માં ગાયત્રીબાએ સુચવેલા જ કામો થાયછે.

આમ જનરલ બોર્ડમાં ખુદ ભા.જ.પના કોર્પોરેટરે કોંગ્રેસના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ વોર્ડ નં.૩માં વિકાસ કામો કરાવ્યાનો સ્વીકારકર્યો હતો તેમ ગાયત્રીબા વાઘેલાએ પણ આ તકે જણાવ્યું હતું.

(3:49 pm IST)