રાજકોટના ઉદ્યોગપતિના આપઘાત કેસના આરોપીના ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન મંજુર
ગોંડલ, તા.૧૯: રાજકોટના ઉદ્યોગપતિના આપઘાત કેસમાં એક આરોપીના સેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરવામાં આવેલ છે.
આ અંગેની વિગત એવી છે કે તા.૧૯-૮-૨૦૨૦ના રોજ અનિલભાઇ કાંતિભાઇ જારસાણિયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધેલ, ફરીયાદી અનિલભાઇ જારસાણીયા દ્વારા આરોપી નિકુંજ સરમણ વાળા, સરમણભાઇ નારણભાઇ વાળા વિજય વાળા તેમજ અજયસિંહ ઉર્ફે વિજયસિંહ આર્મીમેન ફરીયાદીના બનેવી ગુજરનાર અનિલભાઇને રૂ.બે કરોડની ધંધામાં ભાગીદારી છૂટી કરવા માટેની રકમ માટે વારંવાર ટોર્ચર કરતા અને વારંવાર ધમકી આપતા હતા. આ પાંચેય આરોપીના ત્રાસને લીધે ફરીયાદીના બનેવીએ દવા પી આપઘાત કરેલ છે તેવી ફરિયાદ નોંધાવાતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશન આઇપીસી કલમ ૩૦૬,૫૦૬(ર), ૧૧૪ મુજબની ફરીયાદ નોંધી ગુનો દાખલ કરેલ અને આરોપી નિકુંજ વાળા, વિજય વાળા, સરમણ વાળા તથા નારણભાઇ વાળાની ધરપકડ કરી કોટડાસાંગાણી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા આરોપીઓને જેલ હવાલે કરેલ હતા અને ચારેય આરોપીઓને કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન ઉપર છોડવામાં આવેલ હતા.
ત્યારબાદ આરોપી વિજયસિંહ ભાણાભાઇ વાળાએ તેમના વકીલ વિજયરાજસિંહ એસ જાડેજા મારફત ગોંડલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી. બચાવ પક્ષના વકીલ દ્વારા આરોપી અને ગુજરનાર વચ્ચે ધંધાકીય ભાગીદારી હોય આરોપી અને ગુજરનાર વચ્ચે બાવીસ વર્ષથી એક જ ધંધામાં જોડાયેલ હોય, કોઇ દુઃખ ત્રાસ આપેલ ન હોય તેમજ વિવિધ અદાલતોના સાઇટેસન રજુ કરતા બચાવપક્ષના વકીલ અને દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને રૂપિયા ૧૫,૦૦૦ના રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.
આ કામમાં આરોપીના વકીલ તરીકે વિજયરાજસિંહ સુધીરસિંહ જાડેજા રોકાયેલ હતા.