રાજકોટ
News of Monday, 19th October 2020

રૈયા રોડ હનુમાન મઢી મંદિરના પૂજારી રામસ્વરૂપદાસજીનું દેહાવસાન

રાત્રે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૯: રૈયા રોડ હનુમાન મઢી મંદિરમાં વર્ષોથી પૂજારી તરીકે સેવા આપતાં અને મંદિરમાં જ જીવન વ્યતીત કરતાં પૂજારીનું આજે વહેલી સવારે બેભાન થઇ ગયા બાદ મૃત્યુ નિપજતાં દર્શનાર્થીઓમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ હનુમાન મઢી મંદિરના પૂજારી સવારે સાડા ત્રણેક વાગ્યે બેભાન થઇ જતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ. વી. પીપરોતર અને સંદિપભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પુજારીનું નામ રામસ્વરૂપદાસજી બાપુ હોવાનું જણાવાયું હતું. તેમના અમુક કુટુંબીજનો ભાવનગર રહેતાં હોઇ ત્યાં જાણ કરવામાં આવી છે. હનુમાન મઢી મંદિરમાં તેઓ વર્ષોથી પૂજારી તરીકે સેવા આપતાં હતાં. સવારે દર્શનાર્થીઓને જાણ થતાં શોક છવાઇ ગયો હતો.

(10:57 am IST)