વોર્ડ નં. ૧૭ના ન્યુ સુભાષ સોસાયટી વિસ્તારના ખુલ્લા પ્લોટમાં ગંદકીના ગંજ
આ પ્લોટમાં તાકિદે સફાઈ કરાવવા સામાજિક કાર્યકર સવજીભાઈ ફળદુ દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત
રાજકોટ, તા. ૧૯ :. શહેરના વોર્ડ નં. ૧૭ના ખોડીયાર સોસાયટી ૫૦ ફૂટના ન્યુ સુભાષ સોસાયટી વિસ્તારના બન્ને ખુલ્લા પ્લોટ ઉપરથી કચરા ગંદકીની સફાઈ કરાવી ઉપડાવી ડીડીટી દવા છંટકાવ કરાવવા સહિતના પ્રશ્ને યોગ્ય કરવા સામાજિક કાર્યકર સવજીભાઈ ફળદુ દ્વારા મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવવામાં આવ્યો છે.
આ અંગે સવજીભાઈએ પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ શહેરના વોર્ડ નં. ૧૭ના ખોડીયાર સોસાયટી ૫૦ ફૂટના રસ્તા ઉપર ન્યુ સુભાષ સોસાયટી શેરી નં. સી-૩ ના ચોક પાસેના બન્ને ખુલ્લા પ્લોટની અંદર અતિશય રખડુ ઢોરના છાણ તથા બાંધકામ વેસ્ટેજ મલ્ટીરીયલ ધૂળ માટી ખળ ઘાસ તથા કચરા ગંદકીની અંદર દુર્ગંધ ફેલાવી, મચ્છર-લાર્વા, જીણી જીવાત થઈ ગયેલ હોવાથી રસ્તા ઉપરથી પસાર થતા લોકોને તથા આજુબાજુમાં રહેતા વિસ્તારોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. આ અંગે બન્ને ખુલ્લા પ્લોટ ઉપર સ્થળ તપાસ સર્વે કરાવી સમસ્યા હલ કરવા માંગ કરી છે.