વુધ્ધાશ્રમના વડીલો અને થેલેસેમીક બાળકોએ રઘુવંશી રાસોત્સવનો રસાસ્વાદ માણ્યોઃ આજે મેગા ફાઇનલ
રાજકોટઃ રઘુવંશી પરિવાર દ્વારા આ વર્ષે પ્રથમ વાર યોજાયેલ રાસોસ્તવ – ૨૦૧૮માં દિકરાનું ઘર ઢોલારાના માવતર તેમજ થેલેસેમિયા પીડિત બાળકોની હાજરીમાં નવલા નવમાં નોરતે સંપન્ન થયો હતો.
દિકરાનું ઘર ઢોલારાના વૃધ્ધોએ પરંપરાગત રીતે માતાજીની આરતી કરી હતી. થેલેસેમિયા પીડિત બાળકો પણ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. રઘુવંશી પરિવાર દ્વારા દિકરાનું ઘર ઢોલરાના વૃધ્ધો તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનું સ્વાગત કરવામાં આવેલ હતુ. પ્રસાદ બાદ તેઓને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બંછાનિધિ પાની પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ધર્મપત્ની ખેલૈયાઓ સાથે રાસોત્સવમાં જોડાયા હતા. મુંબઈથી શ્રી વિનયભાઈ ઠક્કર, તુષારભાઈ રાજા તથા રઘુવંશી અગ્રણીઓ અશોકભાઇ હિંડોચા, પ્રકાશભાઈ સૂચક, મનુભાઈ જોબનપુત્રા, રમેશભાઈ ધામેચા, પરાગભાઈ દેવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજનાં નવમાં નોરતે ભરત મહેતા પ્રસ્તુત મેડ મ્યુઝિક સાથે માતાજીની આરતી તથા સ્તુતિ બાદ ગાયકોના સુમધુર કંઠેથી મારો સોનાનો ઘડૂલો..., ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય..., ઘોર અંધારી રે રાતલડી માં..., સાથીયા પુરાવો રાજ..., મોહન મોરલી વગાડે મારો વ્હાલો કાનુડો વાંસળી વગાડે... થી શરૂ કરીને ખેલૈયાઓને ખૂબ જ ઝૂમવ્યા તેમજ હાર્દિક મહેતાના સ્પેશિયલ મેટલ ડ્રમિંગ તથા વોટર ડ્રમિંગ દ્વારા રઘુવંશી એક બની થનગનાટ કરે અને રઘુવંશી એકતા એકસપ્રેસ તેમજ વન્દે.. માતરમ... સાથે આજનાં નવલી નવમાં નોરતાની રાતે રાસોસ્તવ સંપન્ન કરેલ. નિર્ણાયક તરીકે નીરજ દોશી, સ્મિતાબેન છગ, મીરાબેન કાનાણી, શીતલબેન બુદ્ઘદેવ, દક્ષાબેન ગટેચા તેમજ કિંજલબેન ચોલેરાએ સેવા આપી હતી તેમજ એ, બી, સી (ત્રણે) ગ્રૂપનાં પ્રિન્સ – પ્રિન્સેસ, વેલ ડ્રેસ પ્રિન્સ – પ્રિન્સેસ અનુક્રમે ચિરાગ માધાણી, દર્શ ભાયાણી, પુષ્ટિ રાયઠઠ્ઠા, વિષદ અનડ્કટ, પુજા બગડાઈ, જિગર ઠકરાર, નિધિબેન સૂચક, અમિતભાઈ કારીયા, જાનકીબેન પંજવાણી જાહેર થયા હતા.