કોર્પોરેશનમાં ડાયરેકટર (આઇ.ટી.)ની ભરતીમાં 'કુલડીમાં ગોળ' ભાંગવા ભાજપે વિપક્ષને મોડી જાણ કરીઃ સાગઠીયા
ઉમેદવારની પસંદગી માટે ઓફીસર સિલીકેશન કમીટીની બેઠકનાં એક દિવસ અગાઉ જાણ કરાતાં અભ્યાસ કરવાનો મોકો ન મળ્યોઃ મ્યુ. કમિશ્નરને ફરીયાદ કરતાં વિપક્ષી નેતા
રાજકોટ, તા., ૧૯: મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ડાયરેકટર (આઇટી) અધિકારીની ભરતીમાં શાસક પક્ષ ભાજપે કુલડીમાં ગોળ ભાંગવાના ઇરાદાથી વિપક્ષ કોંગ્રેસને મોડી જાણ કરી હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ કર્યો છે અને આ બાબતે મ્યુ. કમિશ્નરને લેખીત ફરીયાદ પણ કરી છે. આ અંગે શ્રી સાગઠીયાએ કમિશ્નરશ્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે આજે તા. ૧૯ના મળનાર ઓફીસર્સ સીલેકશન કમીટીની બેઠકમાં ડાયરેકટર (આઇટી)ની નિમણંુક બાબતનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ બેઠકની જાણ વિપક્ષી નેતાને બેઠકના આગલા દિવસે એટલે કે ગઇકાલે તા.૧૮ના સાંજે ૭ વાગ્યે કરવામાં આવી હતી. જેના કારણે વિપક્ષને આ ભરતી બાબતેે અભ્યાસ કરવાનો કોઇ જ મોકો મળ્યો નહિ અને આજે મળેલી ઓફીસર્સ સીલેકશન કમીટીની બેઠકમાં શાસક પક્ષ ભાજપના મેયર સહિતના પદાધિકારીઓ એક માત્ર ઉમેદવાર શ્રી ગોહેલ જે અગાઉથી જ નિશ્ચિત મનાતા હતા અને હાલમાં ડાયરેકટર આઇટીનો ચાર્જ પણ તેમની પાસે છે. આમ વિપક્ષી નેતાને બેઠકની જાણ મોડી કરવા પાછળ કોનો હાથ છે? મોડી જાણ શા માટે કરવામાં આવી? વગેરે બાબતે તપાસ હાથ ધરી વિગતો રજુ કરવા વિપક્ષી નેતાએ માંગ ઉઠાવી છે. (૪.૧૪)