રાજકોટ
News of Friday, 19th October 2018

કાલથી રાજકોટ જિલ્લામાં એકતા યાત્રા : સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમનું મીનિએચર બનાવાયુ : સણોસરાથી પ્રારંભ

બીજા તબક્કામાં ૧૫ થી ૨૪ નવેમ્બર એકતા રથ : સરદાર પટેલ ઉપર દસ્તાવેજી ફિલ્મ કલેકટર તંત્રનું આયોજન : લોકોને જોડાવા અપીલ : ગોંડલ સહિત કુલ ૧૯૦ ગામો આવરી લેવાશે

રાજકોટ તા. ૧૯ : ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને યથોચિત આદરાંજલિ આપવા માટે રાજય સરકાર દ્વારા નર્મદા ડેમ સામે સાધુ બેટ ઉપર તેમની વિશ્વની સૌથી ઊંચી, ૧૮૨ મિટર વિશાળકાય પ્રતિમાનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે, તે પૂર્વે સમગ્ર ગુજરાતમાં સામાજિક સદ્દભાવ અને એકતાનો સંદેશો લઇ એકતા યાત્રા ફરનાર છે. આ એકતા યાત્રાના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ જિલ્લામાં તા.૧૯થી સણોસરા ગામથી થશે. એકતા યાત્રા બે તબક્કામાં વિવિધ ગામોમાં ફરવાની છે. એકતા યાત્રા અંગે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.ઙ્ગ

અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદી મળી એ બાદ ભારત સામે સૌથી મોટા પ્રશ્નો પૈકી એક પ્રશ્ન હતો દેશી રજવાડાઓના વિલિનીકરણનો. સરદાર વલ્લભભાઇ પટેલે પોતાની આગવી મુત્સદ્દગીરી અને કુનેહથી આ પ્રશ્નનું નિરાકરણ કર્યું હતું અને સમગ્ર ભારતને એક બનાવ્યું હતું. તેમના આ અમૂલ્ય યોગદાનનું મહાત્મ્ય આવનારી પેઢી સમજાય એ માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા ડેમ સામે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. જે હવે સાકાર થવા જઇ રહ્યું છે. આગામી દિવસોમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. ત્યારે, તે પૂર્વે એકતા યાત્રા એકતા અને સદ્દભાવનો સંદેશો લઇ રાજકોટ જિલ્લાના ગામેગામ ફરશે.ઙ્ગ

રાજકોટ જિલ્લાના પ્રથમ તબક્કામાં આવરી લેવાયેલા ગામોની સંખ્યા તાલુકા પ્રમાણે જોઇએ તો રાજકોટ તાલુકાના ૬૦, પડધરીના ૪૦, ગોંડલ, કોટડા સાંગાણી અને લોધિકાના ૩૦-૩૦ ઉપરાંત ગોંડલ નગરપાલિકામાં આ એકતા રથ ફરશે. રથ ખાસ પ્રકારે બનાવવામાં આવ્યો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મિનિએચર, નર્મદા ડેમની પ્રતિકૃતિ, ઓડિયો વિઝયુઅલ સિસ્ટમ સાથે ફરશે. જેમાં સરદાર સાહેબના જીવન કવનને લગતી દસ્તાવેજી ફિલ્મ, તેના યોગદાનનું મહાત્મ્ય સમજાવતી ફિલ્મ અને ગીતો પ્રસ્તુત થશે. રથના રાત્રી રોકાણ દરમિયાન નાટિકા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે. પ્રથમ તબક્કામાં તા. ૨૦થી ૨૯ ઓકટોબર અને બીજા તબક્કામાં તા. ૧૫થી ૨૪ નવેમ્બર સુધી એકતા રથ ફરશે. રાજકોટ જિલ્લામાં કૂલ બે રથ ફરશે.ઙ્ગ

રાજકોટ તાલુકાના સણોસરા ગામેથી એકતા યાત્રાનો પ્રારંભ થશે. જયાં, રાજય સરકારના પ્રતિનિધિશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ એકતા રથને પ્રસ્થાન કરાવશે.ઙ્ગ

કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયાએ આ એકતા યાત્રામાં ઉત્સાહભેર જોડવા અપીલ કરી છે.એકતા યાત્રાના સમગ્ર રૂટ આયોજન માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. વી. મકવાણા, પ્રાંત અધિકારી શ્રી અશોક પટેલ, શ્રી જસવંત જેગોડા, શ્રી રાયઝાદા, શ્રી જોશી, શ્રી ચૌધરી સહિતના અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:32 pm IST)