રાજકોટ
News of Friday, 19th October 2018

કમલ જયસ્વાલના આપઘાતમાં સ્યુસાઇડ નોટ અને કોલ ડિટેઇલ પરથી થશે તપાસ

વાઇરલ થયેલી ઓડિયો કલીપ મામલે પણ તપાસ કરવામાં આવશે

રાજકોટ તા. ૧૮: વાંકાનેર સોસાયટી પાસે કોપર સીટીમાં રહેતાં કમલભાઇ ઉર્ફ કાળુભાઇ જયંતિલાલ જયસ્વાલ (ઉ.૪૫) નામના આધેડે પરમ દિવસે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં પરિવારજનોએ જે તે વખતે પત્નિના વિયોગમાં આ પગલુ ભરી લીધાનું જણાવ્યું હતું.

પણ બીજી તરફ ઘટનાના આઠેક કલાક બાદ સ્યુસાઇડ નોટ મળતાં પોલીસે  આ અંગે તપાસ શરૂ કરી છે. સાંજ સુધીમાં કોલ ડિટેઇલ આવી જશે તે પછી પોલીસ આગળ વધશે.

કમલભાઇ ઉર્ફ કાળુભાઇએ આપઘાત કર્યો એ દિવસે જ એવા મેસેજ વાઇરલ થયા હતાં કે સટ્ટામાં બે-અઢી કરોડ હારી જતાં અને એક બુકીએ ઉઘરાણી માટે ધમકી આપતાં આ બનાવ બન્યો છે. જો કે જે તે દિવસે પરિવારજનોએ આવું કંઇ જ નહિ હોવાનું કહ્યું હતું. બીજી તરફ હવે સ્યુસાઇડ નોટ પણ મળી છે અને આપઘાત કરનારની એક ઓડિયો કલીપ પણ વાયરલ થઇ છે. ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પી.આઇ. વી.વી. ઓડેદરા અને ટીમે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(3:32 pm IST)