રાજકોટ
News of Monday, 19th August 2019

આહિર રેજીમેન્ટની માંગ સાથે આવતા વર્ષે દ્વારકામાં મહાસંમેલન

અખિલ ભારત વર્ષીય યુવા યાદવ મહાસભાની મીટીંગમાં લેવાયેલો નિર્ણયઃ રાષ્ટ્રીયકક્ષાના સંમેલનમાં અખિલેશ યાદવ, તેજપ્રતાપ યાદવ સહિતના નેતાઓ હાજર રહેશે : વિજય વાંક

રાજકોટ : દિલ્હીના ગાઝીયાબાદ ખાતે અખિલ ભારત વર્ષીય યુવા યાદવ મહાસભાની બે દિવસીય મીટીંગ મળી હતી. આ મીટીંગમાં સમગ્ર દેશભરમાંથી આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારત વર્ષીય યુવા યાદવ મહાસભાના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ઉદયપ્રતાપસિંહ, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સત્યપ્રકાશ યાદવ, રાષ્ટ્રીય યુવા પ્રમુખ શ્રી દિનેશ યાદવ, રાજસ્થાન યુવા પ્રમુખ શ્રી મહેન્દ્ર યાદવ અને દિલ્હીના બાદલીના ધારાસભ્ય શ્રી દેવેન્દ્ર યાદવ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ કાનગડ અને પ્રદેશ યુવા પ્રમુખ શ્રી વિજય વાંક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટર શ્રી વિજય વાંક (મો.૯૮૨૪૫ ૮૦૯૮૦) એ જણાવ્યુ હતું કે આગામી ૨૦૨૦ના અંતમાં દ્વારકામાં આહિર રેજીમેન્ટની મુખ્ય માંગણી સાથેનું એક મહાસંમેલન મળનાર છે. રાષ્ટ્રીય કક્ષાના આ સંમેલનમાં યુ.પી.ના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અખિલેશ યાદવ, બિહારના શ્રી તેજપ્રતાપ યાદવ સહિતના નેતાઓ હાજર રહેશે. ઉકત માંગણી સાથે આવતા વર્ષભર કાર્યક્રમો યોજાનાર છે. ઉકત તસ્વીરમાં દિલ્હીના ગાઝીયાબાદ ખાતે યોજાએલ મીટીંગમાં ઉપસ્થિત મહાનુભાવો દર્શાય છે.

(4:16 pm IST)