રાજકોટ
News of Monday, 19th August 2019

ઢેબર રોડ શ્રમજીવી સોસાયટીમાં પટેલ કારખાનેદાર રજનીભાઇ સિધ્ધપુરાનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા.૧૯: ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટીમાં રહેતાં પટેલ કારખાનેદારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ શ્રમજીવી સોસાયટીમાં રહેતાં રજનીભાઇ ગોવિંદભાઇ સિધ્ધપુરા (ઉ.૪૩) નામના પટેલ કારખાનેદારે સાંજે સાડા સાતેક વાગ્યે ઘરમાં પંખામાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પત્નિ જોઇ જતાં દેકારો મચાવતાં સ્વજનો ભેગા થઇ જતાં રજનીભાઇને તાકીદે નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં ભકિતનગરના એએસઆઇ દિલીપભાઇ અને રામદેવસિંહે જરૂરી કાર્યવહી કરી હતી. આગળની તપાસ હેડકોન્સ. રસિકભાઇ ગઢાદરાએ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર રજનીભાઇ કારખાનુ ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે.

(4:11 pm IST)