રાજકોટ
News of Monday, 19th August 2019

'આધુનિક ભારતના સ્વપ્નદૃષ્ટા, ટેકનોલોજી યુગના પ્રણેતા ભારત રત્ન એવા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની કાલે જન્મ જયંતિ

રાજકોટઃ સૌથી નાની વયે દેશનું સુકાન સંભાળનાર, દેશને ૨૧મી સદી તરફ લઇ જનાર, જેમની ચાર-ચાર પેઢીઓએ દેશ સેવાનો ભેખ ધારણ કરી, દેશ માટે શહાદત પણ વહોરી લેનાર એવા ઇન્દીરા ગાંધીના સુપુત્ર અને ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની કાલે ૨૦મી ઓગષ્ટ જન્મ જયંતિ છે.

રાજીવ ગાંધીએ કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં મિકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વ્યવસાયીક પાયલોટ બન્યા અને એરલાઇન્સમાં કારકિર્દીની શરૂઆત કરી. પરંતુ સંજોગોવસાત ૧૯૮૦માં લોકસભાના સભ્ય તરીકે ચુંટાઇ આવી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી બન્યા.૧૯૮૨માં ભારત એશીયાઇ ગેઇમ્સનું યજમાન બન્યુ ત્યારે યુવા સાંસદ તરીકે રાજીવ ગાંધીએ મહત્વની જવાબદારી અદા કરી. સ્ટેડીયમ નિર્માણથી લઇને સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ.

૧૯૮૪માં દેશના તત્કાલીન વડાપ્રધાન અને તેઓના માતા શ્રીમતી ઇન્દીરા ગાંધીના અવસાન બાદ રાજીવ ગાંધી દેશના સૌથી નાની વયના વડાપ્રધાન તથા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ પણ બન્યા. આ બંન્ને પદની જવાબદારી તેઓએ બખૂબી નિભાવી.

યુવા વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીએ એક મજબુત રાષ્ટ્ર અને સતત પ્રગતિના પથે દોડતા ૨૧મી સદીના ભારતનું સ્વપ્ન સેવ્યુ. તેઓએ વિજ્ઞાન,ટેકનોલોજી તથા તેને સંબંધીત ઉદ્યોગોની તરફ પુરતુ ધ્યાન આપ્યુ. ખાસ કરીને ઇન્ફર્મેશન ટેકનોલોજી, ટેલીકોમ, એરલાઇન્સ અને સુરક્ષા ક્ષેત્રને આયાત નિતી તથા કર રાહતો દ્વારા અગ્રીમતા આપી. ટેલીકોમ ક્ષેત્રે મહાનગર ટેલીકોમ નિગમ લી (MTNL)ની  સ્થાપના કરી. ઉપરાંત ગ્રામીણ વિસ્તાર સુધી આ વ્યવસ્થા પહોંચાડવા ખૂબ પ્રયત્નો કર્યા. રાજીવ ગાંધીનું વ્યકિતત્વ સજજનતા, મિત્રતા અને પ્રગતીશીલતાનું પ્રતિક હતું. ભારત સરકારે આ દિવંગત નેતાને 'ભારત રત્ન'જેવા સર્વોચ્ચ સન્માનથી નવાજી યથાયોગ્ય શ્રધ્ધાંજલી આપેલ છે.

૨૧મી સદી તરફના પ્રયાણના અભિયાને આજે ભારતને વિશ્વમાં અલગ ઓળખ આપી છે જે રાજીવ ગાંધીને આભારી છે એમાં બેમત નથી. આવા મહાન રાજનેતાને જન્મ જયંતિએ શત શત વંદન.

સંભારણું.૧૯૮૭ના ભયંકર દુષ્કાળ સમયે તાત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલ ત્યારે જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે ચાલતા રાહતકાર્યની તેઓએ જાત મુલાકાત લઇ મજુરીકામ કરતા લોકોને રૂબરૂ મળી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી, લોકોના સુખદુઃખમાં સહભાગી બન્યા અને દુષ્કાળ રાહત સહાય પેટે મોટી રકમની જાહેરાત પણ કરી જેના સાક્ષી આ લખનાર છે.

સંકલનઃ મનસુખભાઇ કાલરીયા

કોર્પોરેટર, ઉપનેતા - વિપક્ષ,આરએમસી

(3:58 pm IST)