જીલ્લા ભાજપ ડેમો-તળાવો પર પુજન કરી નવા નીરને વધાવશે
રાજકોટ, તા.૧૯: જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયા, મહામંત્રીસર્વશ્રીઓ ભાનુભાઇ મેતા. જયંતીભાઇ ઢોલ, ડો.ભરતભાઇ બોધરાએ કુદરતનો આભાર માનતા જણાવ્યું હતું કે હજુ ૮ પહેલા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની પ્રજા, ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહેલ હતા ત્યારે મેઘરાજાએ રાજકોટ જીલ્લા ઉપર મહેર કરીને અનરાધાર વરસાદ વરસવાનું શરૂ કરીને જીલ્લાના ૪૨૭ નાના-મોટા તળાવો, ચેકડેમો, જળાશયો નવા નીરથી ભરીને આપણા ઉપર કૃપાદ્રષ્ટિ કરી છે. મેઘરાજાની કૃપાના વધામણા માટે રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા જળપૂજનના કાર્યક્રમો તમામ તાલુકામાં આવેલ નાના-મોટા તળાવો ચેકડેમો ખાતે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય, સાંસદસભ્ય, સહકારી સંસ્થાના આગેવાનો, સરપંચો તથા જીલ્લા-તાલુકાના ભાજપાના હોદેદારો તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ, સમાજના આગેવાનો, વિસ્તારના લોકોને જોડીને તમામ સ્થાનો ઉપર જળ પૂજનના કાર્યક્રમો રાખવામાં આવેલ છે. તમામ સ્તરના કાર્યકરોએ ઉપસ્થિત રહેવુ તેમ અરૂણ નિર્મળ જણાવે છે. (૨૩.૧૭)