રાજકોટ
News of Thursday, 19th July 2018

ટ્રાફિક સમસ્યા દૂર થશે

ક્રિસ્ટલ મોલ - ભગતસિંહ ગાર્ડન પાસેની ખાણીપીણીની રેંકડીઓ હટાવાશે

આ બંને હોકર્સ ઝોનનું તંત્રના પ્લોટમાં સ્થળાંતર કરાશે : પુષ્કરધામ વિસ્તારના હોકર્સ ઝોન CCTVથી સજ્જ થશે : બિનાબેન આચાર્ય - બંછાનિધી પાનીની જાહેરાત

રાજકોટ તા. ૧૯ : શહેરમાં લોકોની સગવડતા સચવાઈ રહે અને નવી કોઈ અગવડતાનો તેઓએ સામનો ના કરવો પડે તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના કેટલાક હોકર્સ ઝોનનું અન્ય સ્થળોએ પર્યાપ્ત જગ્યા તથા પાર્કિંગ સ્પેસની ઉપલબ્ધિ અનુસાર ક્રમશઃ સ્થળાંતર કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી જગ્યાએ કુલ ૧૦૩ હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે. આ પૈકી અમુક હોકર્સ ઝોન સાંકડા રસ્તા પર કાર્યરત હોઈ ટ્રાફિકના પ્રશ્નો થાય છે અને હોકર્સ ઝોનને કારણે સ્થાનિક નાગરિકોને પણ કેટલીક અગવડતાઓનો સામનો કરવો પડી રહયો હોવાનું ધ્યાને આવતા કેટલાક હિકાર્સ ઝોનનું સ્થળાંતર કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. હાલ બે હોકર્સ ઝોનનું અન્યત્ર સ્થળાંતર કરવામાં આવનાર છે; જેમાં ક્રિસ્ટલ મોલ પાસેનો હોકર્સ ઝોન ન્યારી ફિલ્ટર પ્લાન્ટ સામેના મહાનગરપાલિકાના પ્લોટમાં અને યુનિવર્સીટી રોડ ભગતસિંહ હોકર્સ ઝોન પુષ્કરધામમાં મહાનગરપાલિકાના પ્લોટમાં સ્થળાંતર કરવામાં આવશે, તેમ મેયર  બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર કરવામાં આવનાર આ બંને હોકર્સ ઝોનમાં તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેમજ પાર્કિંગની પણ સરળ વ્યવસ્થા કરવામાં આવશે. આ બંને હોકર્સ ઝોન મોર્ડન બનાવવાનું આયોજન છે.  પુષ્કરધામ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં બનનાર હોકર્સ ઝોન રાજકોટનો સૌથી પહેલો એવો હોકર્સ ઝોન હશે જે સંપૂર્ણરીતે 'રાજકોટ આઈ-વે પ્રોજેકટ' ના CCTV  કેમેરાની દેખરેખમાં રહેશે. લોકોને તમામ સામગ્રી એકજ સ્થળેથી મળી રહે અને તેમજ તેઓને હોકર્સ ઝોનને કારણે કોઇ પણ નવી પરેશાની સામનો કરવો પા પડે તે પ્રકારનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે અને કરતી રહેશે તેમ પણ  મેયર બિનાબેન આચાર્ય મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.

(3:38 pm IST)