રાજકોટ
News of Thursday, 19th July 2018

શનિવારે મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની પ્રવૃતિઓનું ડોકયુમેન્ટેશન

અરવિંદભાઈ મણીઆરના જીવનના વિવિધ પાસાઓ રજૂ થશે : અદ્યતન ટેકનોલોજીથી કાર્યક્રમનો પ્રારંભ થશે : 'પ્રકાશને પંથે' પુસ્તકનું આર. એસ. એસ.ના ભૈયાજી જોષીના હસ્તે લોકાર્પણ : વિજયભાઈ ઉપસ્થિત રહેશે

રાજકોટ, તા. ૧૯ : ગુજરાતના જાહેર જીવનના અગ્રણી અને રાજકોટના વિકાસના શિલ્પી અરવિંદભાઈ મણીયારની સ્મૃતિમાં રચાયેલા શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની ૩૪ વર્ષની પ્રવૃતિઓનો પરિચય કરાવતા ગ્રંથ 'પ્રકાશને પંથે'નું તા.૨૧ જુલાઈને શનિવારે, સાંજે ૬ થી ૮, હેમુ ગઢવી નાટ્યગૃહમાં યોજાયેલ સમારંભમાં લોકાર્પણ થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ શ્રી ભૈયાજી જોષી પુસ્તકનું લોકાર્પણ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમારંભના પ્રમુખ સ્થાને રહેશે.

'પ્રકાશના પંથે' પુસ્તકની વિસ્તૃત માહિતી આપતા શ્રી અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વલ્લભભાઈ કથીરીયા, ટ્રસ્ટી જયોતિન્દ્રભાઈ મહેતા અને અગ્રણી કલ્પકભાઈ મણીઆરે જણાવ્યુ હતું કે અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં થયેલી અને ભવિષ્યની અનેકવિધ પ્રવૃતિઓનો પરિચય ૨૦૦ કરતા વધારે ફોટોગ્રાફ સાથે 'પ્રકાશને પંથે'માં અપાયો છે. આર્ટ પેપર ઉપર મલ્ટીકલર પ્રિન્ટીંગ ધરાવતુ પુસ્તક ટ્રસ્ટના સામાજીક ઓડીટના ઉદ્દેશને નજર સમક્ષ રાખી તૈયાર કરવામાં આવેલું મહત્વનું ડોકયુમેન્ટેશન છે.

અરવિંદભાઈની રાષ્ટ્રીય ફલક ઉપરની કામગીરીના ફોટોગ્રાફ અને અરવિંદભાઈએ લખેલા ૮ લેખો 'પ્રકાશને પંથે'નું ઉજળું પાસુ છે. કુલ ૨ પ્રકરણોમાં રાજકોટના ઈતિહાસની કેટલીક મહત્વની ઘટનાઓ 'પ્રકાશને પંથે'ના માધ્યમથી હાથવગી બની છે. જાહેર જીવન, સાહિત્ય, સંગીત, સહકાર, ખેલજગત ઈત્યિાદિ ક્ષેત્રોના અગ્રણીઓના ફોટોગ્રાફ પુસ્તકને વાંચનક્ષમ બનાવે છે. જાહેર પ્રવૃતિ સાથે સંકળાયેલી સંસ્થાના પ્રસ્તુત ડોકયુમેન્ટેશનમાં તેની સામાજીક નિસબતનું પ્રતિબિંબ ઝીલાયુ છે. અંદાજે ૨૦૦ પૃષ્ઠોના પ્રસ્તુત પુસ્તકનું સંપાદન લેખક - પત્રકાર રાજુલ દવેએ કર્યુ છે. પ્રવિણ પ્રકાશન દ્વારા તેનું નિર્માણ થયુ છે. કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહેવા સર્વ ચાહકો - ભાવકોને ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે.

આ કાર્યક્રમની સફળતા માટે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના જયંતભાઈ ધોળકીયા, જાહન્વીબેન લાખાણી, નિલેશ શાહ, હસુભાઈ ગણાત્રા, પ્રભાતભાઈ ડાંગર, લક્ષ્મણભાઈ મકવાણા, ઈન્દ્રવદન રાજયગુરૂ વગેરે જહેમત ઉઠાવે છે. સમારંભ સ્થળે સાંજે ૫ થી ૫:૪૫ સ્નેહમિલન યોજાશે. શ્રોતામિત્રોએ ૫:૪૫ સુધીમાં પોતાનું સ્થાન લઈ લેવા ટ્રસ્ટીઓ તરફથી હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.

શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી દર વર્ષની પાંચમી ઓકટોબરે 'સ્વરાંજલી' અને જુલાઈ માસમાં દિવ્યાંગ બાળકોનો 'સ્નેહ સ્પર્શ' યોજાય છે. તદ્દપરાંત લાલપરી - રાંદરડા તળાવો ઉંડા ઉતારવા, આરોગ્ય, સહકાર, રમત જગત સહિતની વિવિધ પ્રવૃતિઓ છેલ્લા ૩૪ વર્ષ દરમિયાન યોજાઈ છે. તે સઘળી પ્રવૃતિઓનું સચિત્ર ડોકયુમેન્ટેશન 'પ્રકાશને પંથે'માં કરવામાં આવ્યુ છે. દેશના અગ્રણી વિચારકો, હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ, પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી, નાનજી દેશમુખ, દત્તોપંતજી ઠેંગડી, આચાર્ય ધર્મેન્દ્રજી ઈત્યાદીએ ટ્રસ્ટ આયોજીત પ્રવચનમાળામાં હાજરી આપી ટ્રસ્ટને ગૌરવ બક્ષ્યુ છે. આ વૃતાંત વાંચવા મળશે. અરવિંદભાઈએ સ્વયં સહકાર, અધ્યાત્મ, ખેલકૂદ, પુસ્તકાલય વગેરે વિષયક લખેલા ૮ લેખો 'પ્રકાશને પંથે'નું મહત્વનું પાસુ બન્યા છે. આ ડોકયુમેન્ટેશન વાંચકો - ભાવકોને પસંદ પડશે.

તસ્વીરમાં સર્વશ્રી ડો. વલ્લભભાઈ કથીરીયા (મેનેજીંગ ટ્રસ્ટી), નિલેશભાઈ શાહ, રાજુલભાઈ દવે, પ્રભાતભાઈ ડાંગર, જાહનવીબેન લાખાણી, અલ્પેશભાઈ મહેતા, હસુભાઈ ગણાત્રા, ધર્મેશભાઈ મકવાણા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(12:44 pm IST)